અમદાવાદ કામ અર્થે ગયા બાદ સગીરા ગુમ
સગીરાને ડીસા અને રાજેસ્થાનના મળતીયાઓએ વેચી નાખી છે
પીડિત પરિવારને લિંબાયત પોલીસ પર ઉઠાવ્યા સવાલ
સુરતના લિંબાયત વિસ્તારની 15 વર્ષની સગીરાને શબનમ નામની પરિચિત મહિલા દોઢ માસ અગાઉ કામાર્થે અમદાવાદ લઇ ગયા બાદ ભેદી રીતે ગૂમ થઇ ગઇ છે. સગીરાના પરિવારજનોએ શબનમ સામે ગંભીર આક્ષેપો કરવા સાથે સગીરાને ડીસા, રાજસ્થાનના મળતિયાઓ સાથે મળી આંધ્ર પ્રદેશમાં રૂપિયા 4 લાખમાં વેચી દીધી હોવાની આશંકા સાથે કમિશ્નરને ફરિયાદ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, લિંબાયતના ખાનપુરા ખાતે રહેતી 15 વર્ષીય સગીરાને શબનમ નામની પરિચિત મહિલા ગત તા.19મી ઓક્ટોબરના રોજ અમદાવાદ કામાર્થે જવાનું કહી લઇ ગઇ હતી. સગીરાની માતા દિલ્હીગેટ બસ સ્ટેન્ડ ખાતે તેને મૂકવા પણ ગઇ હતી. જો કે 5 દિવસ પછી શબનમ જ પરત ફરી હતી. જો કે સગીરા સાથે પરત નહી ફરતા માતાએ શબનમને પૂછ્યું તો તેણી 10 દિવસમાં પરત આવી જશે એવી વાત કરી હતી. આમ છતાં વારંવાર ટકોર કરતાં શબનમે અમદાવાદની રેહાનાનો સંપર્ક કરાવ્યો હતો. રેહાનાએ સગીરા અમારી પાસે છે એવી વાત કરી હતી.
આ સમગ્ર મામલે પીડિતાની માતાએ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે, સગીરા ગુજરાતના ડીસા પાલનપુર ખાતે કાલુસિંહ નામની વ્યક્તિ પાસે છે. જેથી ડીસા જઇ તપાસ કરી તો ત્યાં પણ સગીરા મળી આવી ન હતી. જે બાદ પરિવારજનોએ તપાસ કરતા કાલુસિંહ દ્વારા સગીરાને રાજસ્થાનના ઉત્તમસિંહ પાસે હોવાનું જણાયું છે. આ બાબતે સગીરાએ રાજસ્થાનથી કોલ કરી શબનમને માહિતી પણ આપી હતી.
આ સમગ્ર કેસમાં ગુંચવણોની વચ્ચે સામે આવ્યું છે કે, રાજસ્થાન ના ઉત્તમસિંહે કાળુસિંહ સાથે મળી સગીરાને રૂ 4 લાખમાં સોદો કરી આંધ્ર પ્રદેશમાં વેચી દીધી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. સગીરાએ માતા સાથે ફોન પર વાત કરતા જણાવ્યું હતું કે, રૂપિયા પરત આપીને મને છોડાવી જાવ. પરિવારજનોએ દીકરીને શોધવા તથા શબનમ, રેહાના, કાલુસિંહ અને ઉત્તમસિંહ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી છે.