રાધનપુરમાં મહેમાનગતિએ આવેલો કાંકરેજના તેરવાડાના પરિવાર રાત્રે પરત જતાં 4 શખ્સોએ તલવાર-ચપ્પુ અને લાકડી વડે હુમલો કર્યો હતો. કાંકરેજ તાલુકાના તેરવાડા ગામના નસરતખાન આઝમખાન દરબાર શનિવારે સાંજે છએક વાગે તેમની ઇકો ગાડીમાં તેમની સાથે શાહિદખાન હબીબખાન પઠાણ, સલમાનખાન એહમદખાન દરબાર, સમશાદઅંસારી શાહબુદ્દીન દરબાર, સાજીદખાન હબીબખાન પઠાણ, ફિરદૌશબેન સમશાદ અંસારી, પ્રવીણાબાનું અને નસરતખાન રસુલખાન દરબાર સહીત કુટુંબીજનો ભાણેજની સગાઇ કરેલી રાધનપુરમાં વઢિયાર ગોડાઉન બલોચ વાસમાં રહેતાં વેવાઈ મહેબૂબખાન શેરખાન બલોચના ઘરે મહેમાનગતિ કરવા આવ્યા હતાં.
મહેમાનગતિ કરીને રાત્રે દસેક વાગે તેરવાડા પરત જવા માટે ઇકોમાં બેસવા જતાં હતાં, ત્યારે બલોચવાસમાં રહેતાં બલોચ સિરાજખાન સલીમખાન, સમીર ઉર્ફે ઢીલી, અરબાઝખાન સિકંદરખાન બલોચ, જાવિદખાન રહીમખાન બલોચ તલવાર-ચપ્પુ અને લાકડીઓ લઈને આવેલા અને તમારા ભાણેજની જે સગાઇ આરઝુબેન સાથે કરેલ છે,જેની સગાઇ અગાઉ અમારા સંબંધી સરફરાઝ મકરાણી રહે.ખોડુ તા.જી.સુરેન્દ્રનગર સાથે તોડી નાખેલી હોઈ તેમ છતાંય તમે સગાઇ કેમ કરી ” તેમ કહીને અપશબ્દો બોલીને હુમલો કર્યો હતો.
જેમાં નસરતખાનના પરિવારજનોને ઈજાઓ થવા પામી હતી. જેમને સરકારી દવાખાને સારવાર આપવામાં આવી હતી. બીજા માણસોએ વચ્ચે પડીને છોડાવ્યા હતાં. જતાં-જતાં એ લોકો કહેતા ગયા હતાં કે ” હવે પછી રાધનપુરમાં પગ મુકશો તો જાનથી મારી નાંખીશું.”નસરતખાને ચારેય વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મેરાજભાઈ દેસાઈ ચલાવી રહ્યા છે.