દિવાળી પૂર્વે કમિશ્નરનો ચેકિંગ વધારવાનો આદેશ
મસ્જિદમાં ભારતીય ભાષા ના જાણતા હોય તેવા કેટલાક શખ્સો
2 કલાક સુધી પોલીસે શહેરની મસ્જિદો ખૂંદી કાઢી
એક તરફ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે અને બીજી તરફ ગઈકાલે જ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તહેવાર સંદર્ભે મોલ અને મલ્ટીપ્લેક્સ થિયેટરો અને જાહેર ભીડભાડ વાળા સ્થળો પર ચેકિંગ વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. એવામાં આજે બપોરે 12 વાગ્યે શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આવેલા એક નનામા કોલના કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે. કૉલ કરનાર વ્યક્તિએ શહેર કોટડા વિસ્તારમાં આવેલી મસ્જિદમાં કેટલાક શંકાસ્પદ લોકો છૂપાયા હોવાનું જણાવતા જ પોલીસે શહેરની મસ્જિદોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે સદ્દનસીબે કોઈ શંકાસ્પદ વ્યક્તિ ના મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કોટ વિસ્તારમાં આવેલી કેટલીક મસ્જિદોમાં ભારતીય ભાષા જાણતા ના હોય તેવા કેટલાક શખ્સો આવ્યા હોવાનો પોલીસ કંટ્રોલ રૂમમાં નનામી કોલ આવ્યો હતો. આ કોલની ગંભીરતાને જોતા DCP કક્ષાના અધિકારીઓએ તેમના તાબામાં આવતા તમામ પોલીસ સ્ટેશનોને પોતાના વિસ્તારમાં આવતી મસ્જિદોમાં તપાસ કરવાની સૂચના આપી હતી. આ સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી.
પોલીસને મળેલા આ નનામી કોલના પગલે શહેર પોલીસ લગભગ 2 કલાક સુધી દોડતી થઈ ગઈ હતી. જેમાં કાલુપુર પોલીસ, શહેર કોડટા પોલીસ, દરિયાપુર પોલીસ અને માધુપુરા પોલીસ આ તમામ પોલીસ સ્ટેશનનો અડધો સ્ટાફ એક્શન મોડમાં આવી ગયો હતો. જેમણે ગણતરીની મિનિટોમાં જ પોતાના વિસ્તારમાં આવેલી મસ્જિદોમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. જેમાં શહેર કોટડામાં આવેલી રુકુન શાહિદ મસ્જિદ, ફાતિમા મસ્જિદ, સુલેમાની મસ્જિદ અને માધુપુરામાં આવેલી પીર હેબતપુર મસ્જિતમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે પોલીસ તપાસમાં કોઈ એવી શંકાસ્પદ વ્યક્તિ હાથમાં લાગી નથી.