૨૧ દિવસ સુધી જ્ઞાનદેવ આશ્રમ દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાં અન્નદાન
સુરત,શુક્રવાર: વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગીય લોકોને ભોજનની મુશ્કેલી વેઠવી ન પડે તે માટે સુરતના ભૈરવનગર, ભેસ્તાન ખાતે આવેલા જ્ઞાનદેવ ભક્ત મંડળ સેવા ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનદેવ આશ્રમ દ્વારા જરૂરિયાતમંદોને દરરોજ ૨૦૦ કિલો ભોજન તૈયાર કરીને વિવિધ વિસ્તારોમાં વિતરણ કરાઈ રહ્યું છે. ૨૧ દિવસ સુધી જ્ઞાનદેવ ભક્ત મંડલ સેવા ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનદેવ આશ્રમ દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાં અન્નદાનનો યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા ભેસ્તાન વિસ્તારમાં ગત ૨૩ માર્ચથી જ ભોજન વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.
સંસ્થાના ટ્રસ્ટીશ્રી હરીશભાઈ બી. માળીએ સેવાકીય પ્રવૃત્તિ અંગે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ સામે દેશ એકજૂટ બની લડી રહ્યો છે. સમગ્ર દેશ આજે લોકડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થી રહ્યો છે, ત્યારે ઘણાં ગરીબ પરિવારોને ભોજનની મુશ્કેલી ન પડે તે હેતુથી તા.૨૩ માર્ચથી જ ટ્રસ્ટના અન્નક્ષેત્રમાં દરરોજ ૨૦૦ કિલો ભોજન તૈયાર કરવામાં આવે છે. જેમાં ખીચડી કઢી, દાળભાત, પૂરી, બટાટા પૌવા, ઢોકળી, રોટલીઓ, સબ્જી, સુકી ભાજી બનાવવામાં આવે છે. દરરોજ આશરે ૧૦૦૦ થી પણ વધુ લોકો આ સેવાયજ્ઞનો લાભ લઇ રહ્યા છે. સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ભેસ્તાનની ઝુંપડપટ્ટી, ગરીબોની ચાલીઓમાં સંસ્થાના વાહનમાં ભોજન લઇ જઈને પીરસવામાં આવે છે. ઉપરાંત, કોઈ પણ જરૂરિયાતમંદ લોકો પોતાની આજુબાજુ રહેતા ગરીબ લોકો માટે પાર્સલ લઇ જવા માંગતા હોય તો તેઓ પોતાના વાસણો લઈને સંસ્થામાં આવે છે, જેમને અમે રાજીખુશીથી ભોજન આપીએ છે. કોરોના વાઇરસના કારણે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સપ્તાહના બે દિવસના સ્થાને હવે દરરોજ ભંડારો કરવામાં આવે છે. આ ઉપરાંત વાહનમાં તૈયાર ખાદ્ય સામગ્રી લઈને આસપાસના વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે.
વધુમાં હરીશભાઈએ જણાવ્યું કે, જ્ઞાનદેવ ભક્ત મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લાં ૨૦ વર્ષથી ભેસ્તાન વિસ્તારમાં દર ગુરૂવારે અને રવિવારે ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં એક સાથે ૧૦ હજાર લોકોને ભોજન કરાવીએ છીએ એમ તેમણે ઉમેર્યું હતું.
ખાસ કરીને જ્ઞાનદેવ આશ્રમ ખાતે જરૂરિયાતવાળા લોકો પાર્સલ ઘરે લઇ જવા ઇચ્છતાં હોય તો તેમને પણ પાર્સલ આપવામાં આવે છે. પાર્સલ લેવા આવતાં લોકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખે એ માટે નિશાનીઓ કરી એકબીજાથી ચોક્કસ અંતર જાળવી રાખે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભેસ્તાનના જ્ઞાનદેવ આશ્રમ દ્વારા જરૂરિયાતમંદોને દરરોજ ૨૦૦ કિલો ભોજનનું વિતરણ કરાઈ રહ્યું છે.
Views 64