હિંમતનગરમાં આવેલી સિવિલ હોસ્પીટલમાં સોમવારે વહેલી સવારે ચોથે માળે આવેલા એક વોર્ડમાં દાખલ દર્દીએ કોઈ અગમ્ય કારણોસર વોર્ડના પેસેજમાંથી કુદકો મારીને પડતું મુક્યું હતું. જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા દર્દીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પીટલના આરએમઓ એ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દાવલી ગામના 51 વર્ષીય વિનોદ રામાભાઈ વણકરને દમની બીમારી માટે બે દિવસ પહેલા તાત્કાલિક સારવાર વિભાગમાં દાખલ કર્યા હતા. ત્યારબાદ ચોથે માળ 61 નંબરના વોર્ડમાં શીફ્ટ કરવામાં આવ્યા હતા. વોર્ડ નં 61માં વિનોદભાઈના પત્ની પણ સાથે દેખરેખ માટે હતા.
દરમિયાન સોમવારે સવારે 4 વાગ્યાના અરસામાં પત્નીને વિનોદભાઈએ કહ્યું કે, હું આવું છુ એમ કહી બહાર ગયા અને ચોથે માળથી પડતું મુક્યું હતું. જેને લઈને જમીન પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બનાવ અંગે સિવિલ દ્વારા આરએમઓ એ સિવિલમાં પોલીસ ચોકીમાં જાણ કરાઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે સિવિલના આરએમઓ એન.એમ. શાહે જણાવ્યું હતું કે, દાવલીના દમના દર્દીને ૩ ફેબ્રુઆરીએ તાત્કાલિક વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર આપ્યા બાદ ચોથે માળે આવેલા વોર્ડ નં. 61માં શીફ્ટ કરવામાં આવ્યો હતો. જોકે સોમવારે સવારે અગમ્ય કારણોસર દર્દીએ ચોથે માળથી કુદકો મારી આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. તો બીજી તરફ બહુમાળી હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં ચાર દર્દીઓએ આત્મહત્યા કરી છે. ત્યારે દર્દીઓની સુરક્ષા માટે સિક્યોરીટીની કોઈ વ્યવસ્થા છે કે કેમ તેને લઈને અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.