રાયપુર : છત્તીસગઢમાં કોરબા ખાતે ૨૦ વર્ષીય યુવતીની છરીના ૫૧ ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ અહેવાલ મુજબ તેના શરીર પર જુદા-જુદા સ્થળોએ ૫૧ ઘા મારવામાં આવ્યા હતા. પોલીસને આ લવ ટ્રાયેન્ગલ અને લવજેહાદનો કેસ પણ લાગે છે. પોલીસ આ કેસમાં શાહબાઝ ખાન નામના મુખ્ય શંકાસ્પદને શોધી રહી છે. આ ઘટના દક્ષિણ પૂર્વ કોલફિલ્ડ્સ લિમિટેડમાં બની છે. આ યુવતી આ વિસ્તારમાં પમ્પ હાઉસ કોલોની ખાતે તેના કુટુંબ સાથે રહેતી હતી.
ગયા સપ્તાહે નીલ કુસુમ પન્ના નામની યુવતી ઘરે એકલી હતી તે સમયે તેના ઘરે કોઈ ન હતુ. તેની પિતા, માતા અને ભાઈ બધા બહાર ગયા હતા.
તેનો ભાઈ બહારથી ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે તેની બહેન લોહીના ખાબોચિયામાં પડેલી છે અને તેના મોઢાને ઓશિકા વડે ઢાંકી દેવાયું છે. તેણે તરત જ કુટુંબના બાકીના સભ્યોને આ વાતની જાણ કરી હતી. માહિતી મળવાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવતીને તરત જ હોસ્પિટલ લઈ જવાઈ હતી અને તેને ત્યાં મૃત્યુ પામેલી જાહેર કરવામાં આવી હતી.
પોસ્ટમોર્ટમમાં જણાવાયું હતું કે તેની છાતી, ગરદન અને ચહેરા તથા પીઠ પર મળીને કુલ ૫૧ ઘા મારવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમમાં જણાવાયું હતું કે યુવતીએ તેની હત્યા કરનારા સાથે ભારે સંઘર્ષ કર્યો હતો, જેના લીધે તેના હાથમાં પણ ઇજા થઈ હતી.
પોલીસને ઘટનાસ્થળેથી અમદાવાદથી રાયપુર નામની એર ટિકિટ મળી છે, આ ટિકિટ શાહબાઝ ખાનના નામની છે.
આ ઉપરાંત રાયપુરથી બિલાસપુરની ટિકિટ પણ મળી છે. ઘટનાસ્થળેથી આ સિવાય બીજી કેટલીક ચીજવસ્તુઓ મળી આવી છે. ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં લાગે છે કે નીલ કુસુમ અને શાહબાઝ ખાન રિલેશનશિપમા હતા. બંને વચ્ચે કલાકો વાતચીત ચાલતી હતી. શાહબાઝ ઉપરાંત નીલ કુસુમ જાસપુરના અન્ય યુવાન સાથે વાત કરતી હતી. પ્રારંભિક તપાસ દર્શાવે છે કે નીલ કુસુમે લાંબા સમયથી શાહબાઝ સાથે વાત કરી ન હતી, પરંતુ શાહબાઝ તેને વારંવાર ફોન કરતો હતો. શાહબાઝ ખાન પણ જાસપુરનો રહેવાસી હતો અને કેટલાક સમયથી ગુજરાત નોકરી માટે ગયો હતો.
બે વર્ષ પહેલા નીલ કુસુમ મદનપુર ગામની મિશનરી હોસ્ટેલમાં અભ્યાસ કરતી હતી ત્યારે તે કોરબા ઘણી વખત પ્રાઇવેટ બસમાં આવતી જતી હતી, જેમા શાહબાઝ હેલ્પર તરીકે કામ કરતો હતો.
આ પ્રવાસ દરમિયાન બંનેએ એકબીજાને પરિચિત થતા તેમની વચ્ચે રોમાન્સ પાંગર્યો હતો. શાહબાઝ ખાનને પકડવા તલાશ જારી છે.