પાટણ જિલ્લાના હારિજ તાલુકાના કુરેજા ગામે બે વર્ષ અગાઉ કાંટાની વાડ કાઢીને દિવાલ બનાવવા બાબતે થયેલા ઝઘડામાં લોખંડની પાઇપ મારવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. આ અંગેનો હત્યાનો કેસ પાટણ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા ફરમાવી મૃતકની પત્નીને રૂ.50 હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો હતો . ઉપરાંત મૃતકના વિધવાને સરકારની વિક્ટીમ યોજના હેઠળ સહાય ચૂકવવા ભલામણ કરવામાં આવી હતી.
હારીજ તાલુકાના કુરેજા ગામે આડોશ પાડોશમાં રહેતા ઠાકોર વસંતજી ખેગારજી અને લાલાજી ઉર્ફે કાળો ચંદનજી ઠાકોર ના ઘર વચ્ચે બનાવવામાં આવેલ કાંટાની વાડ અંગે અગાઉ અંદરો અંદર બોલાચાલી થઈ હતી જેમાં વાડ કાઢી દિવાલ બનાવવા આગેવાનો દ્વારા સમાધાન કરાવ્યું હતું.
પણ લાલાજી દિવાલ બનાવવા ભાગ આપવા ઈચ્છતા ન હોઈ 25 જૂન 2020 ના રોજ લાલાજી ઠાકોરે લોખંડની પાઇપ સાથે વસંતજી ના ઘરે જઈ અપશબ્દો બોલતા વસંતજી અને તેમના પત્ની સવિતાબેને ગાળો બોલવાની ના પાડી હતી જેમાં ઉશ્કેરાયેલા લાલાજીએ વસંતજીના માથામાં લોખંડની પાઇપના ઘા મારતા બેભાન અને લોહીલુહાણ હાલતમાં પરિવારજનો દ્વારા 108માં ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા પણ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું .આ ઘટના અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં લાલાજી ઠાકોર સામે સવિતાબેન ઠાકોરે ipc કલમ 302 મુજબ ખૂન નો ગુનો નોંધાયો હતો .
આ કેસ એડિશનલ સેસન્સ જજ જે જી શાહ સમક્ષ મંગળવારે ચાલી જતા સરકારી વકીલ એમડી પંડ્યા ની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીને ગુનામાં દોષિત ઠરાવ્યો હતો જેમાં સજાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. જેમાં બુધવારે આરોપીને આજીવન કેદ અને 60 દિવસમાં ફરીયાદી સવિતાબેન ને રૂ.50 હજાર વળતર ન ચૂકવે તો વધુ 6 માસ સખત કેદની સજા ફરમાવી હતી .
સરકારી વકીલ એમડી પંડ્યા એ જણાવ્યું હતું કે આ કેસમાં ભોગ બનનાર મૃતક વસંતજી તેમની પાછળ એક માત્ર વિધવા પત્નીને છોડી ગયા છે ત્યારે સરકારની વિક્ટીમ કોમ્પેનસેશન સ્કીમ હેઠળ મહત્તમ સહાય ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરવામાં આવી છે.