2016ના ભારત-વિન્ડીઝ મેચની વ્યૂઅરશિપનો રેકોર્ડ તોડયો
ટી20 વર્લ્ડ કપને 23 કરોડ કરતાં વધારે લોકોએ નિહાળ્યો છે
ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા મુકાબલાએ નવો રેકોર્ડ સર્જ્યો છે. ઇન્ડો-પાક. મુકાબલાને વિક્રમી 167 મિલિયન (16.70 કરોડ) લોકોએ નિહાળ્યો હતો અને આ સાથે અત્યાર સુધીમાં સૌથી વધારે નિહાળવામાં આવેલો પ્રથમ ટી20 મુકાબલો બની ગયો છે.
ટી20 વર્લ્ડ કપના સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર ઇન્ડિયાએ આ દાવો કર્યો છે. આ પહેલાં 2016ના ટી20 વર્લ્ડ કપ દરમિયાન ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલા સેમિફાઇનલ મુકાબલાને 136 મિલિયન (13 કરોડ 60 લાખ) લોકોએ નિહાળ્યો હતો.
વર્તમાન વર્લ્ડ કપને અત્યાર સુધી કુલ 238 મિલિયન (23 કરોડ કરતાં વધારે) લોકોએ નિહાળ્યો છે જેમાં ક્વોલિફાયર અને સુપર-12 રાઉન્ડના મુકાબલા સામેલ છે.
સ્ટાર ઇન્ડિયાએ યાદીમાં જણાવ્યું હતું કે 16.70 કરોડ લોકોએ ભારત અને પાકિસ્તાનની મેચ નિહાળી છે જે ટી20 ઇન્ટરનેશનલ મેચ નિહાળનાર લોકોની સંખ્યાનો રેકોર્ડ નોંધાયો છે. નવા રેકોર્ડના કારણે 2016ના વર્લ્ડ કપમાં ભારત અને વિન્ડીઝનો મુકાબલો બીજા ક્રમે પહોંચી ગયો છે. ભારત અને પાકિસ્તાનની મેચે નવો ઇતિહાસ સર્જ્યો છે.
અમે ક્રિકેટનો સૌથી રોમાંચક મુકાબલા અંગે દર્શકોની સંખ્યા સતત વધારી રહ્યા છીએ અને આ રેકોર્ડ અમારા પ્રયાસોનો મજબૂત પુરાવો છે. મેચના પરિણામ અને ટૂર્નામેન્ટમાંથી ભારતના બહાર જવાના કારણે સમર્થકો નિરાશ થયા છે તેમાં કોઇ શંકા નથી પરંતુ વિક્રમી વ્યૂઅરશિપ ક્રિકેટની તાકાત દર્શાવે છે.