સોફા પર ચડી બારીમાંથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો
રાજકોટ શહેરનાં જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડીંગનાં 9માં માળેથી પડતું મુકી દક્ષાબેન ઇશ્વરભાઈ ચોટાઈ (ઉં.વ.75)એ મોત વહાલુ કરી લેતા ચકચાર મચી ગઈ હતી. લાંબા સમયથી ડાયાબિટીસની બિમારીથી પીડાતા હોય આ પગલું ભરી લીધુ હોવાનું પોલીસે જણાવ્યું છે.
પ્રતિકાત્મક તસવીર.
અગાઉ હૃદય રોગનો હુમલો પણ આવ્યો હતો
ગઈકાલે રાત્રે 11 વાગ્યા આસપાસ જામનગર રોડ પર આવેલા નાગેશ્વર જૈન દેરાસરવાળા રોડ પર યુનિકેર હોસ્પિટલની સામે આવેલા એપલગ્રીન એપા.નાં નવમાં માળેથી એક વૃદ્ધાએ પડતું મુકી આપઘાત કરી લીધાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીએસઆઈ એચ.વી.સોમૈયા તેમના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ તરફ 108નો સ્ટાફ પણ દોડી ગયો હતો. ઈએમટી ડો.વિજયભાઈ ગઢવીએ વૃદ્ધાને તપાસી મૃત જાહેર કર્યા હતા. પોલીસે તેમનાં પરિવારજનો અને આસપાસના પાડોશીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, તેઓને ડાયાબીટીસની બિમારી હતી અને અગાઉ હૃદય રોગનો હુમલો પણ આવ્યો હતો.
સંતાનમાં એક દીકરો અને દીકરી
વૃદ્ધા ફ્લેટનાં હોલમાં સોફા ઉપર સુતા હતા. ત્યારે સોફા પર ચડી બારીમાંથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પોલીસે જરૂરી કાગળની કાર્યવાહી કરી વૃદ્ધાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતકને સંતાનમાં 1 દીકરો અને એક દીકરી છે. દીકરો 54 વર્ષનો છે અને નિવૃત છે, વૃદ્ધાનાં મોતથી પરિવારમાં શોક છવાયો છે.