અમરનાથ જળપ્રલયમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત, 40 થી વધારે ગુમ; રેસ્ક્યુ કામ ચાલુ
જમ્મુ કાશ્મીરમાં શુક્રવાર સાંજે લગભગ સાડા પાંચ વાગે અમરનાથની ગુફા પાસે વાદળ ફાટ્યું હતું. જેમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ગુમ પણ થયા છે. ભારતીય સેનાના નેતૃત્વમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને આઇટીબીપીની ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે.
જમ્મુ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવાર સાંજે વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારે પૂરમાં ઘણા શ્રદ્ધાળુઓ તણાઈ ગયા છે. અત્યાર સુધી 16 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. 45 થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે 40 થી વધારે લોકો ગુમ થયા છે. તેમની શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સ્થળ પર આઇબીટીપી અને એડીઆરએફની ટીમ કામે લાગી છે. મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું. શનિવાર સવારથી ફરી એકવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
*વાદળ ફાટવાથી ફસાયા વાહનો
જમ્મુ અને કાશ્મીરના ડોડા એસએસપી અબ્દુલ કયુમે જણાવ્યું કે, આજ વહેલી સવાર લગભગ 4 વાગ્યે ઠઠરી ટાઉનના ગુંટી વનમાં વાદળ ફાટવાની સૂચના મળી હતી. કોઇ જાનહાનીના અહેવાલ નથી. કેટલાક વાહનો ફસાતા થોડીવાર માટે હાઈવે જામ થઈ ગયો, પરંતુ હવે તે વાહનવ્યવહાર માટે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.
*સેનાએ કરી શ્રદ્ધાળુઓ માટે પાણીની વ્યવસ્થા
ભારતીય સેનાના જવાનોએ પ્રભાવિત વિસ્તારમાં હાજર તીર્થયાત્રિયો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે. મોડી રાત સુધી જવાનો શ્રદ્ધાળુઓની વ્યવસ્થામાં વ્યસ્ત હતા.
*પીડિત પરિવારો સાથે મારી સંવેદનાઓ: કિરણ રિજિજુ
કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ વાદળ ફાટવાની ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રિજિજૂએ કહ્યું- પવિત્ર અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી શ્રદ્ધાળુઓની જાનહાનીના સમાચાર અત્યંત પીડાદાયક છે. જે પરિવારોએ તેમના સ્વજનોને ગુમાવ્યા છે, તેમના પ્રતિ મારી સંવેદનાઓ છે. મહાદેવ દિવંગત આત્માઓને શાંતિ પ્રદાન કરે. ઓમ શાંતિ.
*લગભગ 15,000 શ્રદ્ધાળુઓને સુરક્ષિત ખસેડાયા
ITBP તરફથી જણાવવામાં આવ્યું કે, પૂરના કારણે પવિત્ર ગુફા ક્ષેત્ર પાસે ફસાયેલા મોટાભાગના શ્રદ્ધાળુઓને પંજતરની મોકલવામાં આવ્યા છે. આઇટીબીપીએ તેમનો માર્ગો ખોલી પવિત્ર ગુફાથી પંજતરની સુધી લંબાવી દીધો છે. કોઈપણ શ્રદ્ધાળુ ટ્રેક પર રહ્યો નથી. લગભગ 15,000 લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે.
*સર્ચ અને રેસ્ક્યૂ ડોગ પણ બચાવ કાર્યમાં લાગ્યા
બચાવ કાર્યમાં સર્ચ અને રેસ્ક્યૂ ડોગને પણ લગાવવામાં આવ્યા છે. શરીફાબાદથી 2 સર્ચ અને રેસ્ક્યૂ ડોગને હેલીકોપ્ટ દ્વારા પવિત્ર ગુફા લઇ જવામાં આવ્યા છે.
*સવારથી 6 શ્રદ્ધાળુઓને બચાવાયા
આજે સવારે એર રેસ્ક્યૂ ઓપરેશન હેઠળ 6 શ્રદ્ધાળુઓને બચાવવામાં આવ્યા. નીલાગર હેલીપેડ પર મેડિકલ ટીમ હાજર છે. માઉન્ટેન રેસ્ક્યૂ ટીમ અને અન્ય દળ ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહ્યું છે.