પશ્વિમ કચ્છના સરહદી અબડાસા તાલુકાના લાખનિયા જતવાંઢ ખાતે ગત રાત્રિ દરમિયાન ઘરમાં સુતેલી બે બહેનોને ઝેરી સાપ કરડી જતા બન્ને બહેનોના મોત નીપજ્યાં હોવાનીની કરુણ ઘટના બની છે. શ્રમજીવી પરિવારની બે પુત્રીઓ પોતાના ઘરની અંદર નિંદ્રાધીન અવસ્થામાં સૂતી હતી તે સમયે રાત્રિના 11.30 વાગ્યાના અરસામાં કાળોત્રાએ ઝેરી દંશ મારતા બુમાબુમ થઈ ઉઠી હતી. જેના પગલે હતભાગી પુત્રીઓના પિતા અવાજ સાંભળી તુરંત દોડી આવ્યાં હતા અને બન્ને દીકરીઓને સારવાર મારે હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ સારવાર કારગર નીવડે તે પહેલા જ બન્ને બહેનોના મોત નીપજ્યાં હતા.
આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ લાખનિયા જતવાંઢ ખાતે જત પરિવારની 15 વર્ષીય અને 12 વર્ષીય પુત્રી પોતાના નળિયા વાળા ઘરમાં સૂતી હતી ત્યારે રાત્રીના 11.30ના અરસામાં આવી ચડેલા સાપે નિંદ્રાધીન બન્ને બહેનોના શરીરે દંશ માર્યો હતો. સાપના કરડવાથી બન્ને બહેનોએ પીડાથી બુમાબુમ કરી મૂકી હતી. જેને લઈ સફાળા જાગીને આવેલા જબ્બારભાઈએ સાપને દૂર ફગાવી બન્ને દીકરીઓને સ્થાનિક લોકોની મદદ વડે નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે એક પુત્રીને મૃત જાહેર કરી હતી. જ્યારે બીજી પુત્રીને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં 108 મારફતે રીફર કરી હતી. જોકે, મોથાડા નજીક રસ્તામાં તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. ગરીબ પરિવારની લાડકવાઈ બે પુત્રીઓના મોતથી નાના એવા લાખનિયા જતવાંઢમાં માતમનો માહોલ છવાઈ જવા પામ્યો છે. તો એકસાથે બે પુત્રીઓને ગુમાવનાર માતા-પિતાની હાલત દયનિય બની ગયાનું જાણવા મળ્યું છે.