સતત બીજા શુક્રવારે શિયા મુસ્લિમો પર હુમલો કરાયો
મોટી સંખ્યામાં નમાઝીઓ હાજર હતા ત્યારે વિસ્ફોટ કરાયા, જાનહાનિ વધવાનો ભય
ગયા શુક્રવારે કુંદુઝની શિયા મસ્જિદ પરના હુમલામાં 100થી વધુ લોકોનાં મોત થયાં હતાં 
અફઘાનિસ્તાનના કુંદુઝ શહેરમાં ગયા શુક્રવારે શિયા મસ્જિદમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા કરાયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોનાં મોત થયાં હતાં અને ડઝનો લોકો ઘાયલ થયાં હતાં. વિસ્ફોટના સમયે મસ્જિદમાં ઓછામાં ઓછા 300 લોકો હાજર હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી હતી. આતંકવાદી સંગઠને જણાવ્યું હતું કે, અમારા નિશાન પર શિયા મુસ્લિમો છે.
અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સતત શિયા મુસ્લિમોને લક્ષ્યાંક બનાવી રહ્યાં છે. સતત બીજા શુક્રવારે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ કંદહાર શહેરમાં આવેલી શિયા મસ્જિદમાં બોંબ વિસ્ફોટ કરતા ઓછામાં ઓછા 32 નમાઝીઓના મોત થયાં હતાં અને 50થી વધુને ઇજા પહોંચી હતી.
કંદહારની સેન્ટ્રલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા એક ડોક્ટરે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં 32 મૃતદેહ અને 53 ઇજાગ્રસ્તોને લવાયાં હતાં. નજરે જોનારા સાક્ષીએ જણાવ્યું હતું કે, મસ્જિદમાં જુમ્માની નમાઝ ચાલી રહી હતી ત્યારે 3 બોંબ વિસ્ફોટ થયા હતા. પહેલો વિસ્ફોટ મસ્જિદના મુખ્ય દ્વાર પાસે, બીજો વિસ્ફોટ મસ્જિદની પાછળ અને ત્રીજો વિસ્ફોટ નમાઝ પહેલાં શ્રદ્ધાળુઓ દ્વારા હાથ પગ ધોવાતા હોય છે તે સ્થળે થયો હતો.
તાલિબાન સરકારના ગૃહ મંત્રાલયના પ્રવક્તા કારી સૌયદ ખોસ્તીએ જણાવ્યું હતું કે, કંદહાર શહેરમાં ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટમાં આવેલી શિયા મસ્જિદમાં થયેલા વિસ્ફોટથી અમે ઘણા દુઃખી છીએ. આ વિસ્ફોટમાં મોટી સંખ્યામાં નમાઝીઓ શહીદ અને ઘાયલ થયાં છે. અમે આ વિસ્તારમાં વિશેષ દળો મોકલી આપ્યાં છે.