હાઈલાઈટ્સ:
- સુરતના પીઆઈએ પરિણિતાની કોલ ડિટેઈલ કઢાવી અને જાસૂસી કરી
- નંબરો મેળવીને તમામને ધમકાવ્યા, પરિણિતાએ કરી હતી પોલીસને રજૂઆત
- આખરે પોલીસ ઈન્સપેક્ટર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, સત્તાનો કર્યો દૂરઉપયોગ
સુરેન્દ્રનગરઃ મૂળ ગોહીલવાડના વતની અને હાલ સુરત ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીઆઈએ સુરેન્દ્રનગરની પરણિતાની કોલ ડિટેઈલ કઢાવીને તેમાં મળી આવેલા નંબરો પર ફોન કરીને ધમકી આપી હતી. આ મામલે પરિણિતાએ શહેરના બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણિતાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે, પીઆઈ યશપાલસિંહ મહાવીરસિંહ ગોહીલે પોતાની સત્તાનો ઉપયોગ કરીને તેની કોલ ડિટેઈલ કઢાવી હતી. 2016થી તેઓ પરણિતાની તપાસ કરતા હતા. છેલ્લાં કેટલાંક સમયથી તે જેની સાથે વાત કરતી હતી એમના નંબર મેળવી લીધા બાદ તમામને ફોન કરી અને મેસેજ કરીને ધમકી આપી હતી.
સત્તાનો દૂરોપયોગ કર્યો
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુરેન્દ્રનગરના બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એક પરિણિતાએ ફરિયાદ કરીને પોલીસ ઈન્સપેક્ટર યશપાલસિંહ ગોહીલ પર આક્ષેપો કર્યા છે. પરિણિતાનો આક્ષેપ છે કે, આ આ પીઆઈ 2016થી તે તેની સાથે જાય છે અને કોની સાથે વાતચીત કરે છે એની તપાસ કરતા હતા. પોલીસ ઈન્સપેક્ટરે પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરીને તેની કોલ ડિટેઈલ કઢાવી હતી. બાદમાં એ નંબરો મેળવ્યા બાદ તમામને ફોન કરીને અને મેસેજ કરીને ધમકી આપીને ત્રાસ આપતા હતા.
મોર્ફ કરેલો વિડીયો પણ મોકલ્યો હતો
ગયા નવેમ્બર મહિનામાં પીઆઈ યશપાલસિંહ અને તેમનો ડ્રાઈવર અચાનક તેમના ઘરે આવી ચઢ્યા હતા. બાદમાં પરિણિતાને ત્રણથી ચાર લાફા મારી દીધા હતા. એટલું જ નહીં પરિણિતાનો મોર્ફ કરેલો વિડીયો બનાવીને તેમના જેઠને મોકલી આપ્યો હતો. પીઆઈ યશપાલસિંહના ત્રાસથી પરિણિતા કંટાળી ગઈ હતી. જે બાદ પરિણિતાએ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લગ્ન પહેલાં થયો હતો પરિચય
મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ સુરતમાં બદલી થયા બાદ પોલીસ ઈન્સ્પેક્ટરે સુરેન્દ્રનગરની પરિણીતાની જાસૂસી શરુ કરી હતી. આ પરિણીતા સાથે તેમનો લગ્ન પહેલા પરિચય થયો હતો પરંતુ સમય જતા તે યુવતી અને ઈન્સ્પેક્ટરના બીજે લગ્ન થઈ ગયા હતા. જોકે, તેમણે હવે પરિણીતાનો નંબર મેળવીને તેની કૉલ ડિટેઈલ્સ કઢાવી હતી. ડિટેઈલ્સના આધારે પીઆઈએ પરિણીતાની સાથે જે કોઈ વાત કરતું હોય તેમને ધમકાવવામાં આવતા હતા, આ દરમિયાન પોલીસ અધિકારીએ પરિણીતાના પતિને પણ ધમકાવ્યા હતા. ટેક્નોલોજીનો દુરોપયોગ કરીને પોલીસકર્મી બધાને ફોન કરતા હોવાની બાબતે પરિણીતાના પતિએ સુરત અને સુરેન્દ્રનગર પોલીસને લેખિતમાં જાણ કરી હતી