તસ્કરોનો તરખાટ:કલોલમાં પિતાની લૌકિકક્રિયા અર્થે પુત્ર પરિવાર સાથે વતન ગયો અને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું, દાગીના સહિત 2.25 લાખની ચોરી
- કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
કલોલ રેલવે પૂર્વમાં બંધ મકાનનાં લોખંડના તાળા તોડી તસ્કરોએ અંદરથી સોનાના દાગીના, રોકડ રકમ ચાંદીના સિક્કા મળીને રૂ. 2.25 લાખની મત્તા ચોરી કરી નાસી ગયા હતા. પિતાની લૌકિક ક્રિયા અર્થે પુત્ર પરિવાર સાથે વતન ગયો હતો. જેનો ફાયદો ઉઠાવી તસ્કરોએ ચોરીને અંજામ આપતા કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
*પિતાનું અવસાન થતાં પરિવાર વતન ગયો હતો
કલોલ રેલવે પૂર્વમાં રહેતા જસવંતભાઈ જાદવ પોતાના ઘરમાં જુના તાંબા પિત્તળનાં વાસણ રીપેરીંગનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 2 જુલાઈનાં રોજ પિતા નટવરભાઈ અવસાન થતાં જસવંતભાઈ પરિવાર સાથે તેમના વતન શીહોર ગયા હતા. બીજી તરફ પિતાના મરણ પ્રસંગે પૈસાની જરૂરિયાત હોવાથી જસવંતભાઈ તા. 9 મી જુલાઈએ પરત કલોલ આવ્યાં હતા. *દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો
બાદમાં ઓળખીતા પાસેથી ઉછીના પૈસા લઈને ઘરને તાળું મારીને પાછા વતન જતા રહ્યા હતા. જેમના બંધ મકાનનો ફાયદો ઉઠાવી તસ્કરોએ લોખંડના દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરનો બધો સર સામાન ફેંદી નાખ્યો હતો. તેમજ તિજોરીનું પણ તાળું તોડી અંદરથી સોનાના દાગીના, 37 હજાર રોકડા તેમજ ચાંદીના 8 સિક્કા મળીને કુલ રૂ. 2.25 લાખની મત્તા ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ ગયા હતા.
*ડોગ સ્કવોર્ડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમને બોલાવી
આ બનાવની જાણ થતાં જસવંતભાઈ તાબડતોડ વતનમાંથી પરત ઘરે આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. આ અંગે કલોલ શહેર પોલીસે જશવંતભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી ડોગ સ્કવોર્ડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમને બોલાવી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ – તેજાજી ચૌહાણ