એરંડા, રાયડા, મગ, ચણા, અડદ, કપાસ સહિતના પાકને નુકસાની જવાની ભીતિ
કેટલાંક માર્કેટયાર્ડમાં માલ પલળી જતા ખેડૂતો અને વેપારીઓ ચિંતિત
20 નવેમ્બર સુધી છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી
આપણે ત્યાં વરસાદ આધારિત ખેતી થતી હોવાથી જગતનો તાત વરસાદની કાગડોળે રાહ જોઇને દરવર્ષે બેઠો હોય છે. પરંતુ કયારેક આ વરસાદ જ ખેડૂતોને ચિંતામાં પણ મૂકી દેતો હોય છે. ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ આજે વહેલી સવારથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં પણ સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આજે સવારે વરસાદ થતા સમગ્ર વિસ્તાર ઠંડોગાર થઇ ગયો હતો. માવઠું થતાંની સાથે જ ખેડૂતોને પાકમાં નુકસાની જવાની ભીતી સર્જાઇ છે.

કમોસમી વરસાદના લીધે ખેડૂતોને શિયાળુ પાકને નુકસાની થવાની ભીતિ ખેડૂતોને કોરી ખાય છે. માવઠાના લીધે એરંડા, રાયડા, મગ, ચણા, અડદ સહિતના પાકને નુકસાની જવાની ભીતિ છે. જ્યારે કેટલાંક માર્કેટયાર્ડમાં પાક બહાર રહેતા પલળી ગયાની માહિતી પણ સામે આવી રહી છે. કમોસમી વરસાદના લીધે પાક પર સંકટના વાદળો ઘેરકાયા છે.

બહુચરાજી APMCમાં પૂરતી સુવિધા ન હોવાથી કપાસ, એરંડા, ઘઉં, અને કઠોળ સહિતનો માલ પલડી જતા ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે. વરસાદની આગાહી હોવા છતાં માલને સાચવી શકાયો નથી તેના લીધે વેપારીઓને પણ નુકસાનની વકી છે. વિસનગર, વડનગર, પાટણ, સરસ્વતી, સમી, હારીજ, રાધાનપુર, સાંતલપુર, ભિલોડા સહિત ઉત્તર ગુજરાતમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે.

ખેડૂતોના જીવ પડકે બંધાયા
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું લંબાયું હતું સાથે જ અતિવૃષ્ટિ પણ થઈ હતી. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતું. હવે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી થતાં તો કેટલીક જગ્યાએ હળવા ઝાપટા પડતા ખેડૂતો પાકને લઈને ચિંતિત છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાઇ ગયા છે.

20 નવેમ્બર સુધી છૂટોછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી
શિયાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયેલું રહ્યું હતું. આગામી 20મી નવેમ્બર સુધી સુરત સહિતના દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ કરી દેવામાં આવી છે.
દેશના ઉત્તર ભાગમાં થયેલી હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનુ જોર વધ્યું છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી ચાર દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેના ભાગરૂપે ગઇકાલે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા હતા. આ માટે હવામાન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે. તેના કારણે ભેજવાળા પવન ગુજરાત તરફ આગળ વધતા રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. આજ કારણોસર આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શકયતા સેવાઇ રહી છે.