ગાંધીનગરનાં યુવકે માતાની સારવાર અને પોતાના લગ્ન માટે 14.50 લાખની સામે 20 લાખ વ્યાજ ચૂકવ્યું, છતાં ચાર વ્યાજખોરોએ મૂડી બાકી જ રાખી

Views 138

ગાંધીનગરનાં સેકટર – 4 માં રહેતા યુવાને બીમાર માતાની સારવાર અને પોતાના લગ્ન માટે રૂ. 4.50 લાખ પંદરથી વીસ ટકા ઊંચા વ્યાજે લીધા પછી વ્યાજ ચૂકવવા છતાં દેવું ભરપાઈ થયું ન હતું. જેથી દેવું ભરપાઈ કરવા બીજા ત્રણ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે તબક્કાવાર રૂપિયા લીધા. જો કે તગડું વ્યાજ સાથે અત્યાર સુધીમાં 20 લાખની વધુની રકમ ચૂકવી દીધી હોવા છતાં ચારેય વ્યાજખોરોએ મૂડીનું ચક્રવૃદ્ધિ વ્યાજનો હિસાબ કાઢીને પઠાણી ઉઘરાણી કરી યુવકને આર્થિક રીતે પાયમાલ કરી દેવાયો છે. આ અંગે સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના સેકટર – 4/એ પ્લોટ નંબર 272/2 માં રહેતો 27 વર્ષીય પાર્થ રાજેન્દ્રભાઈ જાની ઈકો ગાડી ચલાવે છે. વર્ષ – 2021 માતાની તબિયત નાદુરસ્ત રહેવા લાગી હતી. અને પાર્થને લગ્ન પણ કરવાનાં હોવાથી તેણે તેના રવિ રામભાઈ દેસાઈ (રહે-205,પૃથ્વી હોમ્સ,સરગાસણ) પાસેથી શરૂઆતમાં રૂ. 2લાખ લીધા હતા. બાદમાં લગ્ન હોવાથી બીજા રૂ. 1.50 લાખ અને બે મહિના અગાઉ માતા બિમાર પડતાં વધુ રૂ. 1 લાખ એમ કુલ રૂ. 4.50 લાખ લીધા લીધા હતા. જેની અવેજીમાં પાર્થએ બે કોરા ચેક લખીને રવિ દેસાઈને આપ્યા હતા.

જેનું પાર્થ 15 થી 20 ટકા વ્યાજ રવિને ચૂકવતો આવ્યો હતો. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી પાર્થને વ્યાજ ભરવાની અગવડ પડવા લાગી હતી. જેથી રવિ તેને ધાક ધમકીઓ આપતો રહેતો હતો. એટલે દેવું ભરપાઈ કરવા માટે કોલવડાનાં પોપટભાઇ વરવાભાઇ રાવળ પાસેથી રૂ. 6 લાખ ટુકડે ટુકડે લીધા હતા. જેની સામે ત્રણ ચેક આપ્યા હતા. એજ રીતે લેકાવાડાના હીરેંદ્રસીહ કાળુસીહ વાઘેલા પાસેથી રૂ. 1.50 લાખ લઈ ઈકો ગાડી જમા કરાવી દીધી હતી.

આમ ઉક્ત રકમ પેટે પાર્થ દસથી પંદર ટકા વ્યાજ ભરીને વ્યાજના વિષચક્રમાં એવો ફસાયો હતો કે બીજા મિત્ર રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ચાવડા(રહે. રૂપાલ) પાસેથી ટુકડે ટુકડે રૂ. 2.50 લાખ લેવાની નોબત આવી હતી. જેની સામે ઊંચુ વ્યાજ સાથે ચારેય વ્યાજખોરોએ પાર્થ પાસેથી વીસેક લાખ જેવી રકમ પડાવી લીધી હતી. તેમ છતાં એકાદ મહિના પહેલા ચારેય જણાં ફોન કરી અને ઘરે જઈને પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રહેતા હતા. જેનાં કારણે પાર્થ ઘરે પણ જતો ન હતો.

ત્યારે થોડા દિવસો પહેલા વ્યાજખોરોએ પાર્થ પાસે નોટરી કરાવી લખાણ લઈ લીધું હતું. આમ તગડું વ્યાજ ચૂકવવા ઉપરાંત વીસ લાખ જેવી રકમ આપી દીધી હોવાથી પાર્થ આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. છતાં પણ વ્યાજખોરો મૂડીનું ચક્રવૃદ્ધિ વ્યાજનો હિસાબ કાઢીને પૈસાની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકીઓ આપતા રહેતા હોય છે. આખરે હારી થાકીને પાર્થએ સેકટર – 7 પોલીસ મથકમાં ચારેય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *