નેશનલ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે ચાલો જાણીએ અંગદાન વિશે લોકો શું માન્યતા ધરાવે છે ?
ગેરમાન્ ગેરમાન્યતા અને ડરના કારણે લોકો અંગદાન કરતાં ખચકાય છે, અંગદાન અંગે જાગરૂકતા છેલ્લા 7 વર્ષમાં જ વધી
ભારતમાં દર વર્ષે તા.27 નવેમ્બરે નેશનલ ઓર્ગન ડોનેશન ડે તરીકે મનાવવામાં આવે છે. ત્યારે છેલ્લા 6થી 7 વર્ષમાં જ અમદાવાદ સહિત રાજ્યમાં અંગદાન અંગે લોકોમાં જાગરૂકતા વધતા અંગદાનના કેસોમાં વધારો થયો છે. અંગદાનમાં આપેલા અંગો અન્ય લોકોને વેચી દેવામાં આવે છે, મૃત્યુ પછી શરીરના અંગો પૂર્ણં નહીં હોય તો મોક્ષ નહીં મળે, બ્રેઇનડેડ વ્યક્તિ મૃત્યુ જ પામ્યો હોય તેવી માહિતીનો અભાવ જેવા અનેક કારણોના લીધે લોકો અંગદાન કરતાં અચકાય છે. પરંતુ અંગદાન ના કરવા પાછળ પણ લોકોમાં રહેલો ડર અને ગેરમાન્યતાઓ જવાબદાર હોવાનું કહી શકાય.
ઓર્ગન ડોનેશન અંગે 12 વર્ષથી જાગરૂકતા ફેલાવાનું કામ કરતી અમદાવાદની એનજીઓ સતાયુંના સીઇઓ ભાવનાબહેન છાબરિયાએ જણાવ્યું હતું કે, અંગદાન કરવા માટે લોકોમાં ઘણી ગેરમાન્યતા અને ડર રહેલો છે. અમે અનેક જગ્યાએ સેમિનાર કરીને લોકોમાં રહેલો ડર દૂર કરીને અંગદાન કરવા માટે જાગ્રૂત કરીએ છીએ. છેલ્લા 7 વર્ષમાં લોકોમાં અંગદાન અંગેની જાગરૂકતા વધતાં લોકો અંગદાન કરવા આગળ આવી રહ્યાં છે. તે પહેલા તો અંગદાનની વાત કરીએ તો લોકો સાંભળવા જ તૈયાર થતાં ન હતા. હજુ પણ અંગદાન ના કરવા માંગતા લોકોમાં ઘણો ડર અને ગેરમાન્યતાઓ જોવા મળે છે. ઘણા લોકો એમ વિચારે છે કે તેમના અંગદાનથી મળનારા અંગોનું વેચાણ કરવામાં આવે છે. શરીરના અંગો પૂરા નહીં હોય તો મોક્ષ નહીં મળે. હૃદય બંધ થાય તો જ વ્યક્તિનું મોત થાય તેવું માનનારા લોકો બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન કરતાં ખૂબ જ અચકાય છે. એટલે અંગદાનની પ્રોસિજરથી લઇને તમામ બાબતો જ્યારે સમજાવે એટલે તેમની ગેરમાન્યાતાઓ દૂર થાય. ત્યારે તેઓ અંગદાન માટે સંમત થાય છે. એમ ભાવનાબહેેને જણાવ્યું હતું.
જો કે ઘણા લોકોમાં એવી પણ માન્યતા હોય છે કે તેઓ અંગદાન કરવાના છે તેની ખબર ડોક્ટર્સને થશે તો તેઓ તેમને બચાવવાનો પ્રયત્ન કરશે નહીં. પરંતુ આ વિચારસરણી તદ્ન ખોટી છે, હકીકતમાં હંમેશા ડોકટર્સ સૌથી પહેલા દર્દીનો જીવ બચાવાનો પ્રયાસ કરશે. કોઇ પણ ડોકટર્સ દર્દી અંગદાન કરવાના છે તે હેતુથી તેને જાણી જાઇને મરવા નહીં દે. ઉપરાંત ઘણા લોકો એમ વિચારે છે કે તેમને સ્વાસ્થ્ય સબંધી સમસ્યાના કારણે તેઓ અંગદાન નહીં કરી શકે. પરંતુ એવું નથી કેમકે કોઇ અંગદાન કરી શકે કે નહીં તે માત્ર ડોકટર્સ નક્કી કરે છે. મોટી ઉંમરના લોકો અંગદાન કરી ના શકે તેમના માટે અંગદાન કરવું જોખમી છે. તેવું માનનારા ખરેખર એ જાણી લે કે અંગદાનને ઉંમર સાથે કોઇ લાગતું વળગતું નથી. કોઇ પણ ઉંમરની વ્યક્તિ જો તે સ્વસ્થ હોય તો અંગદાન કરી શકે છે. અંગદાન કરવા માટે મૃતકના પરિવારજનોને નાણાં ચૂકવવા પડે તે વાત પણ ખોટી છે. કેમકે અંગદાન માટે કોઇ નાણાં ચૂકવવાના નથી હોતા. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં અંગદાન ચાર ગણું વધ્યું, 70 ટકા લોકો જાગૃત થયાં
ઓર્થોરાઇઝેશન કમિટી ઓફ સોટ્ટોના મેમ્બર સેક્રેટરી ડો.વિનીત મિશ્રાાએ ગુજરાતમાં અંગદાન અંગે જણાવ્યું હતું કે, અંગદાન અંગે લોકોમાં જાગૃૃતિ વધી રહી છે. તેમાં પણ છેલ્લા 4 વર્ષમાં જાગરૂકતાના લીધે અંગદાનમાં ખાસ્સો વધારો થયો છે. પહેલા રાજ્યમાં વર્ષે 40 લોકોનું અંગદાન થતું તે હાલ ચાર ગણું વધી ગયું છે. અંગદાનની તમામ પ્રક્રિયા સરકારી હોસ્પિટલમાં જ થતી હોવાથી અંગદાનના અંગો વેચાતા હોવા સહિતની લોકોની ગેરમાન્યતા દૂર થઇ છે. એટલે હવે 70 ટકા લોકો અંગદાન અંગે જાગૃત થયા છે.
અમદાવાદ સિવિલમાં 10 મહિનામાં 20 લોકોના અંગદાનથી 54 લોકોને નવું જીવન મળ્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સોટ્ટો અંતર્ગત અંગદાનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. એટલે છેલ્લાં 10 મહિના દરમિયાન આજ દિન સુધીમાં સિવિલમાં 20 લોકોના શરીરમાંથી મેળવેલા 68 જુદા જુદા અંગથી જુદા જુદા 54 લોકોને નવું જીવન મળ્યું છે. આમ અંગદાનથી 54 લોકોના જીવનમાં અજવાસ પથરાયો છે.
- અંગદાન કરવાના છે તેની ખબર ડોક્ટર્સને થશે તો તેઓ દર્દીને બચાવવાનો પ્રયત્ન કરશે નહીં.
- હૃદય બંધ થાય તો જ વ્યક્તિનું મોત થાય તેવું માનનારા લોકો બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન કરતાં અચકાય છે.
- ઘણા પોતાના સ્વાસ્થ્ય સબંધી સમસ્યા અને મોટી ઉંમરના કારણે અંગદાન કરી શકતા નથી તેવું માને છે.
- અંગદાન કરવા માટે નાણાં ચૂકવવા પડે છે.