ગાંધીનગરના સેકટર – 14 માં આવેલી સરદાર પટેલ હાઉસિંગ સોસાયટીના એક બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી તિજોરી માંથી દોઢ લાખ રોકડા તેમજ રૂ. 3.30 લાખની કિંમતના સોનાના દાગીના મળીને કુલ રૂ. 4.80 લાખની મત્તા ચોરી ફરાર થઈ જતાં સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ભાલઠી ગામના મૂળ વતની 63 વર્ષીય ચંદનસિંહ અમરસિંહ મકવાણાનાં પરિવારમાં પત્ની અને બે દિકરા છે. જેમના સેકટર – 14 સરદાર પટેલ હાઉસિંગ સોસાયટી મકાન નંબર એમ/12/143 માં તેમનો સાળાનો દીકરો નિલેશ છ મહિનાથી રહે છે. અને મધુર ડેરીમાં નોકરી કરે છે. જેની નોકરીનો સમય રાતના અગિયાર થી સવારના સાત વાગ્યા સુધીનો છે.
જે મુજબ ગઈકાલે નિલેશ ઘર બંધ કરીને નોકરી ઉપર ગયો હતો. ત્યારે આજે સવારે પાડોશી રાજુભાઈ પટેલે ફોન કરીને જાણ કરી હતી કે મકાનના દરવાજાનો નકુચો તૂટેલો છે. આ સાંભળી ચંદનસિંહ ભાલઠી ગામથી પરિવાર સાથે સેકટર – 14 નાં મકાને આવી પહોંચ્યા હતા. ત્યારે ઘરના મુખ્ય દરવાજામાં પ્રથમ લોખંડના દરવાજાનો નકુચો તથા બીજા લાકડાના દરવાજાનો નકુચો તથા ઈન્ટર લોક તોડેલ હોવાનું માલુમ પડયું હતું.
બાદમાં ઘરની અંદર જોતા બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો તેમજ બેડરૂમમાં આવેલ લોખંડની તીજોરીનુ પણ લોક તૂટેલું હતું. જેનો તમામ સર સામાન વેર વિખેર હાલતમાં નીચે પડ્યો હતો. આથી તિજોરીમાં તપાસ કરતાં અંદરથી રોકડા દોઢ લાખ, એક સોનાનો શેટ અઢી તોલાનો, બે તોલાની સોનાની ચેઈન, એક સોનાની જેન્ટસ લકી આશરે દોઢ તોલાની મળી કુલ રૂ. 4.80 લાખની મત્તા તસ્કરો ચોરી ગયાનું વધુમાં માલુમ પડયું હતું. આ અંગે જાણ થતાં સેકટર – 7 પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.