પાલનપુરમાં કોલેજ કરતી યુવતીએ બે માસ અગાઉ તેના વતનમાં જાતે જ અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યું હતું. તેના મોત પાછળ તેનો પ્રેમી ડીસાના તાલેપુરાનો શખ્સ જવાબદાર નીકળ્યો હતો.પ્રેમીને રૂ.51 હજાર, સોનાની ચેન વેચી પૈસા આપ્યા પછી પ્રેમીએ ફોન નંબર બ્લોક કરી દેતાં યુવતીને લાગી આવતાં આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું છે.યુવતીના પરિવારજનોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે તેની સામે મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુર ખાતે આદર્શ મહિલા કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી ખુશ્બુ પ્રજાપતિ (20)એ તારીખ 21 ડિસેમ્બર 2022ના દિવસે તેના વતન પાલનપુર તાલુકાના ગામે ઘરમાં શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી સળગી ગઈ હતી. જેનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે, તેણીના મોત પાછળ તેનો પ્રેમી ડીસા તાલુકાના તાલેપુરાનો કિરણ ભીખાભાઈ ચૌધરી જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું. યુવતીના પિતા નારણભાઈ ગલબાભાઈ પ્રજાપતિએ તેની સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મરવા માટે મજબૂર કરવા દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નાણાં આપ્યા પછી પ્રેમીએ મોબાઈલ બ્લોકમાં નાખી દેતાં લાગી આવ્યું અને અગ્નિ સ્નાન કરી દીધું
પરિવારજનોએ તપાસ કરી તો જણાયું હતું કે, ખુશ્બુને ડીસા તાલુકાના તાલેપુરાના કિરણ ભીખાભાઈ ચૌધરી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, કિરણે તેનો દુરુપયોગ કરી અવાર- નવાર રૂપિયાની માંગણી કરતો હતો. જેથી ખુશ્બુએ તેના ફ્રેન્ડ સર્કલ તેમજ ઘરેથી રૂપિયા લઇ રૂપિયા 51,000 ફોન પે મારફતે મોકલાવ્યા હતા.
આ સિવાય ખુશ્બુએ તેના મિત્રો દાંતીવાડા તાલુકાના સાંતરવાડાના મહેન્દ્રકુમાર ભુરાભાઈ ચૌધરી, દિયોદર તાલુકાના ઓઢાના કિશનભાઇ કિર્તીભાઈ ચૌધરી તેમજ અન્ય મિત્રો પાસેથી પણ રૂપિયા લઈ આ કિરણને મોકલાવ્યા હતા. તેમજ ખુશ્બુ પાસે બે તોલા સોનાની ચેન હતી તે પણ વેચીને કિરણ ચૌધરીને નાણાં મોકલાવ્યા હતા. જે રૂપિયા પાછા આપવા માટે ખુશ્બુ ફોન કરી જણાવતી હતી. અંતમાં તેણે ખુશ્બુનો નંબર બ્લોકમાં નાખી દેતા કિરણથી કોઈ સંપર્ક ન થતા ખુશ્બુને લાગી આવ્યું હતુ.