મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની મેચ પર મજબૂત પકડ
મિશેલે ત્રણ વિકેટે અશ્વિનની અડધી સદી પૂરી કરી હતી
એઝાઝ પટેલે પણ ભારતની બીજી ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી
મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની મેચ પર મજબૂત પકડ જોવા મળી છે. શનિવારે પ્રવાસી ટીમને ફક્ત 62 રને ઓલઆઉટ કરીને બીજી ઇનિંગ રમવા ઊતરેલી ભારતીય ટીમે આજે સાત વિકેટ ગુમાવી 276 રનના સ્કોર પર દાવ ડિકલેર કર્યો હતો જેને પરિણામે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ જીતવા માટે બીજી ઇનિંગમાં કુલ 540 રન કરવાનું લક્ષ્ય આપ્યું હતું. જવાબમાં ત્રીજા દિવસની રમતના અંતે પ્રવાસી ટીમે પાંચ વિકેટ ગુમાવી 140 રન નોંધાવ્યા હતાં.
હજુ બે દિવસની રમત બાકી છે અને પ્રવાસી ટીમે હજુ 400 રન કરવાના છે અને તેના માટે તેની પાસે ફક્ત પાંચ વિકેટ બાકી રહી છે. કિવી ટીમની શરૂઆતની ત્રણ વિકેટ ફક્ત 55 રનમાં ઝડપથી પડી ગઇ હતી અને આ ત્રણે વિકેટ અશ્વિને ઝડપી હતી. જો કે પછી ડેરિલ મિચેલે બાજી સંભાળી હતી અને અર્ધ સદી ફટકારી પ્રવાસી ટીમને 100ના આંકડાને પાર કરી હતી. જો કે 60ના વ્યક્તિગત સ્કોર પર મિચેલ અક્ષરનો શિકાર બન્યો હતો.

અક્ષર પટેલની બોલિંગમાં તેને યાદવે કેચ આઉટ કર્યો હતો. તેના સ્થાન પર રમવા ઊતરેલો ટોમ બ્લન્ડેલ કોઇ રન નોંધાવી શક્યો ન હતો. શૂન્ય રન પર રનઆઉટ થઇને પેવેલિયનમાં પરત ફર્યો હતો. દિવસના અંતે રચિન રવીન્દ્ર બે રન સાથે અને હેન્રી નિકોલસ 36 રન સાથે રમતમાં હતા.
ચોથી ઓવરમાં અશ્વિને લેથમને LBW આઉટ કર્યો
540 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઊતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી. ચોથી જ ઓવરમાં રવિચંદ્રન અશ્વિને કેપ્ટન ટોમ લેથમને એલબીડબ્લ્યૂ આઉટ કરી પેવેલિયનનો માર્ગ દેખાડી દીધો હતો. ત્યારે પ્રવાસી ટીમનો સ્કોર ફક્ત 13 રન હતો.

ટેલર ફરીથી નિષ્ફળ: અશ્વિનને મળી ત્રીજી વિકેટ
રવિચંદ્રન અશ્વિનને પોતાની ત્રીજી વિકેટ ખૂબ ઝડપથી મળી ગઇ હતી. ન્યૂઝીલેન્ડના 55 રનના સ્કોર પર અશ્વિને વરિષ્ઠ કિવી બેટ્સમેન રોસ ટેલરની વિકેટ ઝડપી હતી. ટેલર ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો અને ફક્ત છ રન નોંધાવીને પેવેલિયનમાં પરત ફર્યો હતો, અશ્વિનની બોલિંગમાં તેને પૂજારાએ કેચ આઉટ કર્યો હતો.