દિવાળીના તહેવારો બાદ અમદાવાદનું પ્રદૂષણ હજુ વધારે ખરાબ થઈ શકે
આસપાસના કેમિકલ ઉદ્યોગો સતત, બેફામ પ્રદૂષણ ફેલાવતા હોવાનું પરિણામ

શિયાળાની ઠંડી અને દિવાળીના તહેવારો બાદ અમદાવાદ શહેરનું પ્રદૂષણ વધુ ખરાબ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. કારણ કે, અત્યારથી જ શહેરના વિવિધ વિસ્તારનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ઉચકાવવા લાગ્યો છે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની હવા તો શ્વાસમાં લેવાને લાયક પણ નહી રહે. કારણ કે, હાલમાં પીરણા વિસ્તારનું પ્રદૂષણ દિલ્હી અને મુંબઈ કરતા પણ રેકોર્ડ બ્રેક હાઈ થઈ ગયું છે. પિરાણાનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 325એ પહોચી ગયો છે, જે દિલ્હી અને મુંબઈના તમામ વિસ્તારો કરતાં વધુ નોંધાયો છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની હવા શ્વાસમાં લેવાને પણ લાયક રહેતી નથી, પરંતુ કોરોનાના સેકન્ડ રાઉન્ડમાં અપાયેલ લોકડાઉન અને ત્યાર બાદ ચોમાસુ સિઝનના વરસાદી માહોલના કારણે પૂર્વ સહિત તમામ વિસ્તારની હવા સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં શુદ્ધ બની ગઈ હતી. સપ્ટેમ્બરના છેલ્લા દિવસોમાં અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ઘટીને 51એ આવી ગયો હતો, જે હાલમાં ફરી ઉચકાઈને 180એ પહોચી ગયો છે. એટલે કે, અમદાવાદ શહેરમાં પ્રદૂષણ મધ્યમ પ્રકારનુ છે. પરંતુ પીરાણા વિસ્તારની હવા ઝેરી બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, શહેરના પૂર્વ વિસ્તારમાં ધમધમતી કેમિકલ ફેક્ટરીઓના કારણે આ વિસ્તારમાં પ્રદૂષણ દિવસેને દિવસે વધી જાય છે. ઘણી વખત ગેસ ગળતરની ઘટનાઓ પણ આ વિસ્તારમાં ઘટે છે. મોટાભાગે અમદાવાદ શહેરનો સરેરાશ AQI 150થી 200 વચ્ચે હોય ત્યારે રાયખંડ, રખિયાલ અને પીરાણાનો AQI 300ની નજીક અથવા તો તેના પણ ઉપર પહોંચી જાય છે. હાલમાં પીરાણા એકદમ પ્રદૂષિત વિસ્તારન બની ગયો છે અને અન્ય વિસ્તારની હવા પ્રદૂષિત થવા લાગી છે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારનો AQI
| વિસ્તાર | 27 સપ્ટેમ્બર | 3 નવેમ્બર |
| પિરાણા | 39 | 325 |
| રખિયાલ | 92 | 211 |
| રાયખડ | 80 | 186 |
| ચાંદખેડા | 39 | 112 |
| બોપલ | 27 | 180 |
| સેટેલાઈટ | 56 | 111 |
| એરપોર્ટ | 47 | 135 |
| લેકવાડ | 36 | 176 |
| સરેરાશ | 51 | 180 |
શ્વાસમાં તકલીફ, ખાંસી, થાક લાગવાના કેસ વધી શકે
દિવાળીના તહેવારોમાં ફટાકડાના ધુમાડાના કારણે પ્રદૂષણ ફેલાતું હોય છે, આ સમયગાળામાં કોરોનાથી સાજા થયેલા લોકો તેમજ જેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, દમ-અસ્થમાની બીમારીથી પીડાતાં હોય, ફેફસાંની તકલીફ હોય તેવા દર્દીએ સાંજના સમયે ઘરમાં જ રહેવું જોઈએ, એટલું જ નહિ પરંતુ લોકોએ પણ તહેવારમાં સંયમ રાખી, વધુ પ્રદૂષણ ફેલાવતાં ફટાકડાનો ઉપયોગ ન કરવો જોઈએ તેવી અપીલ તબીબોએ કરી છે. દિવાળીના તહેવારોમાં ફટાકડાના કારણે હવામાં પ્રદૂષણ ફેલાય છે, જેના કારણે લોકોને સ્વાસ્થ્યની તકલીફ ઊભી થતી હોય છે, તેમ કહેતાં શહેરના તબીબો કહે છે કે, ઠંડકવાળા વાતાવરણમાં ધુમાડો નીચલા સ્તરે રહે છે, ફટાકડાના ધુમાડામાં કાર્બન મોનોક્સાઈડ વધારે માત્રામાં હોય છે, જે શ્વાસ નળી અને ફેફસાં માટે હાનિકારક હોય છે, આ સંજોગોમાં કોરોનાથી જે દર્દી સાજા થયા છે તેમણે પણ ખાસ તકેદારી રાખવી જોઈએ અને બને ત્યાં સુધી સાંજના સમયે ઘરેથી નીકળવાનું ટાળવું જોઈએ. કોરોના મુક્ત દર્દીના નબળા ફેફસાં હોય તો તૂર્ત તેમને સ્વાસ્થ્યને લઈ તકલીફ ઊભી થઈ શકે છે. આ ઉપરાંત દમ-અસ્થમાના દર્દીમાં પ્રદૂષિત હવાના કારણે ઈન્ફેક્શન વધી શકે છે, પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી અને થાક લાગવાના કેસ વધી શકે છે.