સામાન્ય નાગરિકોને દરેક રસ્તા ઉપર નજરે જોવા મળે છે પણ…
એક વર્ષમાં અમદાવાદમાં ભીખ માંગતા 25 બાળકોનું રેસ્ક્યૂ કરાયા, કોઈના માતા- પિતાના મળ્યા નહીં
ગુજરાતમાં નાના- મોટા શહેરોના આંતરિક રસ્તાઓથી લઈને હાઈવે, ધાર્મિક અને પ્રવાસન સ્થળો ઉપર ભીખ માંગતા બાળકો નજરે ચઢવા એ સાવ સામાન્ય બાબત છે. પરંતુ, ભીખ માંગવાની વૃત્તિ બંધ કરાવીને નાગરીક સમાજમાં તેમના પુનઃસ્થાપન માટે માતા- પિતા કે પરિવાર સુધી પહોંચતા કરાવવાની જેમની જવાબદારી છે તે પોલીસને રાજ્યના ત્રણ શહેરો સિવાય ક્યાંય આવા બાળકો મળ્યા નથી.
ભીખ માંગતા બાળકોને પોલીસ દ્વારા રેસ્ક્યૂ કરવા સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગે જાહેર કરેલી માહિતી અનુસાર વિતેલા એક વર્ષમાં અમદાવાદ, સુરત અને રાજકોટ એમ ત્રણ શહેરમાંથી જ 67 બાળકો ભીખ માંગવાની વૃતિ કરતા મળ્યા છે. વર્ષ 2020માં પોલીસે અમદાવાદમાં ભીખ માંગતા 25 બાળકોને રેસ્ક્યૂ કર્યા હતા. પરંતુ, તેમાંથી એક પણને તેના માતા- પિતા સુધી પહોંચાડવામા સફળતા મળી નહોતી. આથી, આ 25એ 25 બાળકોને ચાઈલ્ડ વેલફેર અધિકારીને સોંપાયા છે. તેનાથી ઉલ્ટુ સુરત શહેરમાંથી રેસ્ક્યૂ કરાયેલા 40 બાળકોને તેમના માતા- પિતાને સોંપવામાં આવ્યા છે. જ્યારે રાજકોટમાંથી મળેલા બંને બાળકોને ચાઈલ્ડ વેલફેર અધિકારીને સોંપાયા છે. બાળ ન્યાય ( બાળકોની કાળજી અને રક્ષણ) અધિનિયમ- 2015ની કલમ 76 હેઠળ કોઈ પણ બાળક પાસે ભીખ મંગાવવુ કે ભીખ માંગવા બાળકોનો ઉપયોગ કરવો એ ગુન્હો છે. જો કે, આ કાયદાનો અમલ માત્ર કાગળ ઉપર જ થઈ રહ્યો છે. બાળકો માટે કાર્યરત સ્વૈચ્છિક સંગઠનોના સ્વંય સેવકોના કહેવા મુજબ ઘણી વખત ગુનાહિત માનસિકતા સાથે કોઈ પુખ્ત બાળકો પાસે ભીખ મંગાવતો હોય ત્યારે થતી રજૂઆતોમાં જ પોલીસ રેસ્ક્યૂની કાર્યવાહી કરે છે. તે સિવાય પોલીસની ભૂમિકા પ્રોએક્ટિવ નથી. માત્ર પોલીસ જ નહિ ગુજરાતમાં ચાઈલ્ડ હોમની સંખ્યા પણ ઓછી છે.