અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલમાં નોકરીમાંથી કાઢી મૂકતાં એમ્બ્રોઈડરી કારખાના માલિક સહિત ત્રણની હત્યા કરી બે કારીગરો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે હાલ બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે. ઘટના બાદ કારખાના માલિકનાં પરિવારજનો દ્વારા આરોપીઓને ઝડપી કડક કાર્યવાહીની માગ કરી હતી. હત્યાની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે.
કારખાના માલિક, તેના પિતા અને મામાની હત્યા
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલમાં વેદાંત ટેક્સો નામનું એમ્બ્રોઈડરીનું કારખાનું આવેલું છે. જેમાં આજે મારામારીની ઘટના સર્જાઈ હતી. કારખાનાના માલિક પર બે કારીગરોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં કારખાના માલિક કલ્પેશ ધોળકિયા, તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ ત્રણે જણાનાં મોત થયાં હતાં. ઘટના બાદ ત્રણેયને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એક આરોપી સગીર અને એક યુવાન
ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે અમરોલીમાં આવેલી વેદાંત ટેક્સોમાં આજે 9થી સવા નવ વાગ્યાની આસપાસની આ ઘટના બની છે. એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરતાં કારીગરો દસ દિવસ પહેલાં જ કામે લાગ્યા હતા. તેને નોકરીમાંથી કાઢી મૂકવાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે નાઇટશિપમાં કામ કરતા કારીગરે યોગ્ય કામગીરી ન કરતા તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો. જેની અદાવત રાખીને આજે વહેલી સવારે કારખાનામાં આવીને કારખાના માલિક, તેના પિતા અને મામાની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં બે આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. જેમાંથી એક સગીર વયનો છે અને એક પુખ્ત વયનો છે.
ત્રિપલ મર્ડર મામલે હાઈ લેવલ બેઠક શરૂ, ગૃહમંત્રી હજાર
સુરતના અમરોલીમાં એમ્બ્રોડરી કારખાનાના વેપારીઓની હત્યા મામલે હાઈ લેવલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આ મિટિંગ યોજાઈ છે. આ મિટિંગમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે. સ્થાનિક ધારાસભ્ય, સમાજના અગ્રણીઓ અને વેપારી અગ્રણીઓ સાથે મળી આ કેસને લઈને વિશેષ બેઠકનું આયોજન કર્યું છે. આ પ્રકારની બનતી ઘટનામાં કડકમાં કડક પગલાં લેવામાં આવે તેને લઇ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સુરત પોલીસ કમિશનરના કોન્ફરન્સ રૂમમાં આ મિટિંગ શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ઘટના અંગેની ગૃહમંત્રી જાણકારી મેળવશે અને અધિકારીઓને સૂચના આપી શકે છે.