ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ નવરાત્રિમાં શાળા-કોલેજીસના વેકેશનની જાહેરાત કર્યા બાદ, રાજ્ય સરકારની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. કારણ કે, વિભાવરીબેને અતિ ઉત્સાહમાં આવીને કરેલી જાહેરાતથી સમગ્ર સરકાર ચોંકી ગઈ હતી. પરંતુ સરકારના મંત્રીઓ અને બીજેપી આગેવાનોનો એક એવો પણ મત છે કે, જો વેકેશન રદ કરવામાં આવે તો ભાજપને નુકસાન થઈ શકે તેમ છે. જેથી માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે ચર્ચા કરીને પરીક્ષા પાછી ઠેલવવી જોઈએ. આ અંગે આજે સાંજ સુધીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવશે.
જે કંઈ કહેવાનું હશે તે સામૂહિક કહીશઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે સાથેની સીધી વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી કે, આ મામલે જે કંઈ કહેવાનું હશે તે સામૂહિક કહીશ. ઉલ્લેખનીય છે કે, શિક્ષણમંત્રીએ આ મામલે વધુ કંઈપણ કહેવાનું ટાળ્યું હતું.
પરીક્ષા અને નવરાત્રિ વેકેશન એક સાથે જ
ગુજરાતની શાળા કોલેજીસમાં નવરાત્રિના વેકેશન અંગે વિભાવરીબેન દવેએ જાહેરાત તો કરી દીધી, પરંતુ તેમાં અનેક વિસંગતતાઓ અને વિવાદો સર્જાયા છે.ખાસ કરીને રાજ્યના મોટાભાગના ખાનગી શાળા સંચાલકોએ નવરાત્રિ વેકેશનનો વિરોધ કર્યો છે. તો બીજી બાજુ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના વાલીઓ પણ વિરોધ કરી રહ્યા છે કે, એક બાજુ સરકાર પરીક્ષાની તારીખો જાહેર કરે છે અને તે જ સમયે વેકેશન પણ આપવામાં આવ્યું છે.
પરીક્ષા આપવી કે વેકેશન ગણવું
આ પહેલા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા એકેડેમિક કેલેન્ડરમાં તારીખ 19 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ધોરણ 9થી 12ની પ્રથમ કસૌટી જાહેર કરવામાં આવી છે. પરંતુ વિભાવરીબેન દવેએ નવરાત્રિ દરમિયાન 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી વેકેશનની જાહેરાત કરી છે.
બદલાઈ શકે છે પરીક્ષાની તારીખ
મંત્રીઓને બીજેપીના સંગઠનના આગેવાનો અને મત વિસ્તારના લોકો પણ પૂછી રહ્યા છે, ત્યારે મંત્રીઓ પણ જવાબ આપવાનું ટાળી રહ્યા છે. જેથી નવરાત્રિના વેકેશનનો મામલો સરકાર માટે ગળાનું હાડકું બની ગયો હોવાથી આ મુદ્દે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓએ લંબાણ પૂર્વકની ગંભીર ચર્ચા કર્યા બાદ, નવરાત્રિ વેકેશન રદ કરવાને બદલે પરીક્ષાની તારીખો બદલવાની દિશામાં કામગીરી શરૂ કરી છે.
સરકારની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી, સાંજ સુધીમાં અંતિમ નિર્ણય
Views 67