જિલ્લાના 67 જેટલાં ગામમાં વહીવટી તંત્ર દ્વારા રસીકરણ વધારવાનો પ્રયાસ
રાજ્યમાં કોરોના વેક્સિનેશન માટે અભિયાનો ચલાવવામાં આવે છે. ખાસ કરીને ગામડાંમાં વેક્સિનેશનના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગામડાંમાં લોકો વેક્સિન લેવા તૈયાર નથી, જેથી હવે અમદાવાદ જિલ્લાનાં ગામડાંમાં વેક્સિન લેનારા લોકોને ગિફ્ટ આપી રસી લેવા માટે જાગ્રત કરવામાં આવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા NGO સાથે મળી આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. કોરોના વેક્સિન લેનારી વ્યક્તિને એક લિટર કપાસિયા તેલની બોટલ ફ્રી આપવામાં આવશે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નળસરોવર વિસ્તારમાં આવતાં બે ગામડાંમાં આ રીતે વેક્સિન લેનારને તેલની બોટલ આપવાની શરૂઆત કરવામાં આવી છે.
નળકાંઠાનાં 10 ગામમાં સ્કીમ શરૂ કરાઈ
મામલે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયાએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લાનાં કેટલાંક ગામડાં એવાં છે, જેમાં વેક્સિનેશન કોઈપણ કારણસર ઓછું થઈ રહ્યું છે. વેક્સિનેશન વધારવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં યુવા અનસ્ટોપેબલ અને માનવ સેવા ટ્રસ્ટ NGOની મદદથી નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં સાણંદના નળકાંઠાનાં 10 ગામમાં વેક્સિન લેનારને એક લિટર કપાસિયા તેલ આપવામાં આવી રહ્યું છે. જિલ્લામાં કુલ 67 ગામ એવાં છે, જેમાં વેક્સિનેશન ઓછું થયું છે, જેમાં વધુમાં વધુ લોકો રસી લેવા આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
વેક્સિનેશનની જાગૃતિ માટે નવતર પ્રયોગ
યુવા અનસ્ટોપેબલ NGOના પવન અગ્રવાલે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાયલોટ પ્રોજેકટ તરીકે અમે જિલ્લાનાં ગામડાંમાં એક લિટર તેલ આપીને વધુમાં વધુ લોકો વેક્સિન લે એના અવેરનેસ માટે આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અમે અન્ય ગામડાંમાં પણ આ રીતે અવેરનેસ માટે કામગીરી કરી વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા જાગ્રત કરીશું.
અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા પણ વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી થાય, લોકો વધુમાં વધુ વેક્સિન લે એ માટે હવે એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં જિલ્લા તંત્ર “યુવા અન્સ્ટોપેબલ” NGO સાથે મળીને વેક્સિન લેનારને એક લિટર કપાસિયા તેલ ફ્રી આપશે. અમદાવાદ જિલ્લામાં રસીકરણ વધે એ માટે અઠવાડિયામાં 2થી 3 વખત જિલ્લા કલેકટર અને સરકારી અધિકારીઓ દ્વારા સરપંચ, ધાર્મિક આગેવાનો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવે છે.
અમુક ગામોમાં હજી રસીકરણ 40 ટકા જેટલું
ત્રીજી લહેરને રોકવા માટે અને વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી કરવા માટે અલગ અલગ ઉપાયો કરવામાં આવે છે. જિલ્લા વહીવટી વિભાગ દ્વારા નોંધવામાં આવ્યું છે કે અમુક ગામોમાં હજી રસીકરણ 40 ટકા જેટલું છે, જેનો વ્યાપ વધવો જોઈએ. જો ત્રીજી લહેરને રોકવી હોય તો રસીકરણ થવું ખૂબ જ જરૂરી છે. જેથી જિલ્લા સરકારી અધિકારીઓએ NGO સાથે મળીને રસીકરણ માટે લોકોને આકર્ષવા માટે એક પ્રયાસ હાથ ધર્યો છે.