પાટણ જિલ્લામાં રવિવારે સમીસા નર્મદા કેનાલ અને કુરીજા નર્મદા કેનાલમાં બે મૃતદેહ મળી આવ્યા હતા. આ સમાચારને પગલે સમગ્ર પંથકમાં આપઘાતના બનાવોને લઈને લોકોમાં ભારે ચર્ચા રહી હતી. જેમાં એક કલોલ ના યુવાને અગમ્ય કારણોસર સમીસા નર્મદા કેનાલમાં આપઘાત કર્યો જ્યારે મેસરાની પરણીતાએ અગમ્ય કારણોસર કુરીજા નર્મદા કેનાલમાં આપઘાત કર્યો હતો.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મેસરા ગામે રહેતી અલકાબેન ગોવિંદજી ઠાકોર પરણીતાને લગ્ન જીવન દરમિયાન ચાર વર્ષનું સંતાન છે તે તેમના પરિવાર સાથે રહે છે કોઈ અંગત કારણોસર ગુરુવારે વહેલી સવારે ઘરેથી કોઈને કીધા વગર નીકળી ગઈ હતી તેની શોધખોળ કર્યા બાદ કોઈ ભાળ ન મળી હતી આ અંગે ગોવિંદજીએ ચાણસ્મા પોલીસ મથકે તેમની પત્નીની ગુમશુદા દાખલ કરી હતી. પણ રવિવારે સાંજે કુરેજા નજીક નર્મદા કેનાલના પાણીમાં અલકાબેનનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો આ સમાચાર સાંભળી અલકાબેનના સાસરીયા અને પિયર પક્ષના માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ત્યારબાદ મૃતદેહને બહાર કાઢી હારીજ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યું હતું. ત્યારબાદ મૃતકના ભાઈ પંકજજી દશરથજી ઠાકોરે હારીજ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો. તેની તપાસ અધિકારી ડીવાયએસપી એસ.એમ.ચૌધરીએ હાથ ધરી હતી.
જ્યારે બીજી ઘટનામાં ચાણસ્મા તાલુકાના સમીસા ગામ નજીક આવેલ નર્મદા કેનાલમાં કલોલના વાલ્મિકી હરેશભાઈ દલસુખભાઈ ઉંમર વર્ષ 27 નો મૃતદેહ રવિવારે બપોરે પાણીમાં તરતો નજરે પડ્યો હતો આ ઘટનાની જાણ ચાણસ્મા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી ચાણસ્મા સિવિલ હોસ્પિટલમાં તેનું પીએમ કરાવી મૃતદેહને તેના વાલી વાસોને સોંપ્યો હતો અને ચાણસ્મા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો તેની તપાસ અધિકારી પીએસઆઇ એ એન ડામોરે જણાવ્યું હતું.