મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને
ધોરડોમાં ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક યોજાઈ
ભુજ, બુધવારઃ
જી-20 અંતર્ગત કચ્છના ધોરડો ખાતે આજે ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. રાજ્યના આંગણે પધારેલા જી-20 દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાડા છ કરોડ ગુજરાતીઓ માટે આ ગર્વનો અવસર છે.
વિકાસમાં પ્રવાસનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે, દેશ અને દુનિયાની જીડીપીમાં ટૂરિઝમનું મહત્ત્વનું યોગદાન છે. આપણે ગુજરાતને સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની આ બેઠકમાં વિવિધ દેશો અને સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિવિધ પડકારો અને વિકાસ પર સમૂહ ચિંતન અને મનનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, નવી પ્રવાસન નીતિ અંતર્ગત રાજ્યમાં પ્રવાસનના વિકાસની સાથે-સાથે પર્યાવરણ સમૃદ્ધિનો એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે.
કચ્છમાં બે દાયકા પૂર્વે આવેલા ભૂકંપને યાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ હાલમાં જી-20ના ગ્રૂપના સભ્ય દેશ એવા તૂર્કીમાં આવેલા વિનાશક ભૂકંપને યાદ કરીને, મૃતકો તેમજ તૂર્કીવાસીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
પત્રકાર : જાવેદ શા