લાખણી તાલુકાના ભાકડીયાળ ગામમાં ત્રણ વર્ષ અગાઉ માતાએ કામ ધંધા વગરના બેસી રહેલા પુત્રને ખેતરમાં વાવેતરનું કહેતા ઉશ્કેરાઈ જઈ માતા પત્ની અને 4 મહિનાના પુત્રની હત્યા કરી નાખી હતી આ અંગેનો કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં બુધવારે ચાલી જતા કોર્ટે ત્રીપલ મર્ડર કેસના આરોપીને ફાંસીની સજા ફરમાવતા કોર્ટ સંકુલમાં સોપો પડી ગયો હતો. જજે સજા સંભળાવતા પહેલા આરોપીને રજૂઆત કરવા કહ્યું પણ આરોપીએ કોઈ બચાવ કર્યો નહોતો, સજા સાંભળ્યા બાદ પણ તેના ચહેરાના હાવ-ભાવ બદલાયા ન હતા.
લાખણી તાલુકાના ભાકડીયાલ ગામે 2 નવેમ્બર 2019ના રોજ સવારના સમયે ઠાકોર પરિવાર પોતાના ઘરે હતો ત્યારે ભીખાજી તખાજી ઠાકોરને તેમની માતા એ કામ ધંધો ન કરવા બાબતે ઠપકો આપતા પુત્રને લાગી આવતા ઉશ્કેરાઈ જઈ ક્રુરતાપૂર્વક કુહાડીના ઉપરા છાપરી ઘા મારી માતા પત્ની અને પુત્રની હત્યા કરી અન્ય એક મહિલાને ઈજા પહોંચાડી હતી. આરોપીના માથા પર એ હદે હત્યાનું ઝનૂન સવાર થઈ ગયું હતું કે ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હોવા છતાં તે કુહાડી લઈને ફરતો હોવાથી પોલીસે કોર્ડન કરીને તેની અટકાયત કરી હતી અને વધુ કોઈનો જીવ ન જાય તેની તકેદારી રાખી હતી.
ગામનાજ પ્રકાશભાઈ ગમાજી ઠાકોર (રહે ભાકડીયાલ) દ્વારા આગથળા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. જે અંગેનો કેસ બુધવારે દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ડીવી ઠાકોરની દલીલો ગ્રાહ્ય રાખી પુરાવા આરોપી વિરુદ્ધ પડતા ન્યાયાધીશ કે. એસ. હીરપરા દ્વારા આરોપી ભીખાજી તખાજી ઠાકોરને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
ચુકાદા બાદ હવે શું?
દિયોદર કોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે ” અહીંથી ચુકાદા સહિતના તમામ પેપર્સ હાઇકોર્ટમાં મોકલવામાં આવશે અને ત્યાંથી સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસી માટેની બહાલી આપવામાં આવે છે. કોઈક કિસ્સામાં દયાની અરજી આરોપી પક્ષે કરવામાં આવી હોય ત્યારે લીગલ બ્રાન્ચમાં થઈને તે રાષ્ટ્રપતિ સમક્ષ જતી હોય છે અને ફાંસી અંગેનો નિર્ણય લેવાતો હોય છે.”
કોર્ટ દ્વારા 22 સાક્ષી અને 4 નજરે જોનારા તપાસ્યા
આ અંગેની વિગતો આપતા એડવોકેટ બી. વી. ઠાકોરે જણાવ્યું હતું કે ” આ કેસમાં પ્રત્યક્ષ દર્શી 4 મુખ્ય સાક્ષીમાં હતા હુમલાખોરે તેમની ભાભી પર પણ ગળા પર કુહાડીના ઘા કરવા જતા ખસી જતા ખભા ઉપર ઈજા થઈ હતી અને મણકામાં તકલીફ થઈ હતી જે 307ના ગુનામાં આરોપીને આજીવન કેદની સજાનો હુકમ પણ કરાયો હતો. જજ સાહેબ દ્વારા અગાઉ 24 તારીખની સુનાવણી બાદ આખરી હુકમ માટે 25 તારીખ ની મુદત આપવામાં આવી હતી જે વખતે આરોપીને ચુકાદા અંગે કહેવાની તક આપવામાં આવી હતી.