હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 11મો દિવસ છે. ઉપવાસના સમર્થનમાં ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ શત્રુઘ્નસિંહા અને પૂર્વ કેન્દ્રિયમંત્રી યશવંતસિંહા ઉપવાસી છાવણીની મુલાકાતે જશે. સાડા ચાર વાગ્યે બંને પહોંચશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા પણ હાર્દિકને સમર્થન આપવા માટે પહોંચશે.
ગઈકાલે હાર્દિકે મેડિકલ ચેકઅપનો કર્યો હતો ઈન્કાર
સોમવારે સાંજે હાર્દિકના ચેકઅપ માટે સોલા સિવિલ હોસ્પિટલના સીએમઓ ડો પ્રદીપ પટેલ ટીમ સાથે હાર્દિક પાસે પહોંચ્યા હતા. પરંતુ હાર્દિકે કોઈપણ જાતના મેડિકલ ટેસ્ટ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે પણ તેણે ડો. મનીષા પંચાલ મેડિકલ ટીમ સાથે હાર્દિકના ચેકઅપ માટે પહોંચ્યા હતા પણ તેણે ઈન્કાર કરી દીધો હતો.
ચોવીસે કલાક આઈસીયુ ઓન વ્હિલ રહેશે તહેનાત
ઉપવાસી હાર્દિકની સ્થિતિ કથળી રહી છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને આખરે સરકારે એક આઈસીયુ ઓન વ્હિલ તહેનાત રાખવાનો 3જી સપ્ટેમ્બરે નિર્ણય લીધો છે. તેમાં 4 કર્મચારીઓ હાજર રહેશે. આઈસીયુમાં ઓક્સિજન, બોટલ ચડાવવાની સુવિધા અન્ય ઈમરજન્સી દવાઓનો સ્ટોક રાખવામાં આવશે.