વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એક દિવસનાં ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. તેઓ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે. અગાઉ ભારે વરસાદને પગલે વડાપ્રધાનનો કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. હવે તેઓ આવતીકાલે ગુરૃવારે સવારે ૧૦-૧૫ નવી દિલ્હીથી વાયુદળના વિમાનમાં સુરત એરપોર્ટ આવી પહોંચશે. ત્યાંથી ૧૧ વાગ્યે વલસાડ થઈને જુજવા ગામ પહોંચશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૃા. ૧૭૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૧,૧૫,૫૫૧ આવાસોનાં લાભાર્થીઓને તેઓ ઈ-ગૃહ પ્રવેશ સામૂહિક રીતે કરાવશે. ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ પાંચ હજાર મહિલાઓને ઉદ્યોગ સાથે જોડાણનાં સ્કીલ સર્ટીફિકેટ તેમજ નિમણૂકપત્રોનું વિતરણ કરશે. વલસાડના ધરમપુર કપરાડાના અંતરીયાળ ગામોને પીવાનું પાણી પહોંચાડવાની રૃા. ૫૮૬ કરોડની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાના ભૂમિપૂજનની તકતીનું અનાવરણ કર્યા બાદ જાહેરસભાને સંબોધશે.
બપોરે ૧૨-૩૦ કલાકે વડાપ્રધાન જૂનાગઢ જવા રવાના થશે. બપોરે ૨-૨૫ વાગ્યે જૂનાગઢ પોલીસ ટ્રેનીંગ કોલેજ મેદાન પર પહોંચશે. જ્યાં તેઓ રૃા. ૨૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦૦ બેડની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પોલીટેકનિક ઈન એગ્રો પ્રોસેસીંગનું ઉદઘાટન કરશે. તેમજ સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટનું લોકાર્પણ અને જૂનાગઢ કોર્પોરેશનનાં ત્રણ વિકાસ કામોનું ભૂમિપૂજન કરશે. વડાપ્રધાન અહીં જાહેર સભાને સંબોધશે.
વડાપ્રધાન મોદી એક જ દિવસમાં જૂનાગઢમાં રૃા. ૪૫૦ કરોડના વિવિધ વિકાસ કામોનાં લોકાર્પણ-ભૂમિપૂજન સંપન્ન કરશે. સાંજે છ વાગ્યે વડાપ્રધાન ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજર રહીને વિદ્યાર્થીઓને પદવી અને મેડલ્સ એનાયત કરશે. તેમજ દીક્ષાંત પ્રવચન પણ આપશે.
સાંજે ૭-૩૦ વાગ્યે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજર રહીને બેઠક પૂર્ણ થયા બાદ રાત્રે અમદાવાદ એરપોર્ટથી વાયુદળનાં વિમાનમાં જ નવી દિલ્હી પરત જવા રવાના થશે.
આજે વડાપ્રધાન 1 લાખથી વધુ આવાસોના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવશે
Views 71