રાતોરાત ઇંડાંની અને નોનવેજની લારીઓ બંધ કરાવી તો અન્ય રોજગારની વ્યવસ્થા કરે તેવી માગણી
કોરોનાકાળ બાદ બેરોજગાર બનવાનો વારો આવતાં ધંધાર્થીઓમાં રોષ
ઠંડીની સિઝનમાં તંત્રના નિર્ણયથી આર્થિક રીતે પાયમાલ થઈ જઈશું.
નોકરી-ધંધો ગુમાવનારા નરોડાના બે ભાઇઓએ 4 લાખનું દેવુ કરીને મોડીફાઇડ કરેલી ઇંડાની લારી ચાલુ કરી
શહેરનાં જાહેર માર્ગો ઉપર ઈંડાં અને નોનવેજની લારીઓ હટાવવાના આદેશને પગલે લારી ચલાવતાં ધંધાર્થીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કોરોનાકાળ બાદ માંડ માંડ ધંધા રોજગાર પાટે ચડયા છે. ત્યાં આ નિર્ણયથી ફરીથી લોકો બેરોજગાર બનવાનો વારો આવશે. કોરોનાકાળમાં નોકરી-ધંધો ગુમાવનારા નરોડાના બે ભાઇઓએ 4 લાખનું દેવુ કરીને મોડીફાઇડ કરેલી ઇંડાની લારી ચાલુ કરી. હજુ તો દેવુ પૂરુ થયું નથી ત્યાં લારીઓ બંધ કરાવવાના નિર્ણયથી તેમના ઉપર આભ ફાટી પડયા જેવો ઘાટ ઘડાયો છે. સરકારના નિર્ણયનો વિરોધ કરીને આક્રોશ વ્યક્ત કરતાં લારી ચાલક કહી રહ્યા છે કે, સરકારે ધંધો બંધ કરવાની વાત કરી તો હવે બીજા રોજગારની વ્યવસ્થા કરી આપે અથવા અમારા માટે અલગ વ્યવસ્થા કરી આપે તો સારું. નહીંતર અમારે ખાવાના ફાંફાં પડશે.

ઠંડીની સીઝનમાં કોર્પોરેશનના નિર્ણયથી અમારો ધંધો હવે બંધ થઇ જશેઃ વેપારીઓ
શહેરના નરોડા ખાતે ઇંડાની લારી ચલાવતા જયેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે લગ્ન પ્રસંગમાં ડી.જે વગાડવાનો મારો વ્યવસાય બંધ થઇ ગયો. મારા ભાઇની પણ નોકરી જતી રહી. એટલે ઘરનું ગુજરાન ચલાવવા વ્યાજે રૂ. 4 લાખ લાવીને છોટાહાથી ગાડીને મોડીફાઇડ કરીને 3 કારીગર સાથે ઇંડાની લારી ચાલુ કરી. તેનાથી માંડ ઘરનું ગુજરાન ચાલવા લાગ્યું ત્યાં બીજી લહેરના કારણે ફરીથી ધંધો ઠપ્પ થઇ ગયો. અત્યારે ઠંડીની સિઝન હવે બરાબર ચાલુ થઇ ત્યાં જ કોર્પોરેશનના નિર્ણયથી અમારો ધંધો હવે બંધ થઇ જશે. ઇંડાની લારી ચાલુ કરવા માટે વ્યાજે લીધેલા નાણાં કયાંથી ભરીશું તેની ચિંતા સતાવે છે. સરકારે જાણે હોટલમાં જ લોકો ખાવા જાય અને તેની જીએસટીની કમાણી કરવા માટે ઇંડા અને નોનવેજની લારીઓ બંધ કરાવી હોય તેવું લાગે છે. સામાન્ય નાગરિકને રૂ.40-50માં મળતી આમલેટ હવે હોટલમાં ડબલથી પણ વધુ ભાવે ખાવી પડશે. એટલે ગરીબ અને મધ્યમવર્ગને ઇંડાં કે નોનવેજ ખાવું પણ મોંઘુ પડશે. અમારા જેવા માંડ પેટિયુ રળતાં ઇંડાં કે નોનવેજની લારી વાળા માટે સરકાર એક અલાયદી જગ્યા ફાળવે તો અમને પણ કોઇ તકલીફ ના પડે. એમ તેમણે જણાવ્યું હતું.

ઇંડાની લારીવાળાને રોજગારી મળે તેવા ધંધાને સરકારે બંધ કરવાના બદલે તેમના માટે ખાસ વ્યવસ્થા કરવી જોઇએ.
જ્યારે જમાલપુરમાં વર્ષોથી હોલસેલમાં ઇંડાં વેચતાં વેપારી મો.સલીમ મલેકે જણાવ્યું હતું કે, ઇંડાની લારીવાળાને રોજગારી મળે તેવા ધંધાને સરકારે બંધ કરવાના બદલે તેમના માટે ખાસ વ્યવસ્થા કરવી જોઇએ. કોર્પોરેશનના નિર્ણયથી આજથી જ વેપાર ઓછો થવા લાગ્યો છે. રોજ કરતાં આજે ઇંડાની લારીના ધંધાર્થીઓ ઓછો માલ લઇ ગયા છે.