કથિત ગેંગ રેપ પ્રકરણ રાજ્યભરમાં ચર્ચાનો વિષય
રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મંગળવારે વહેલીસવારે વડોદરાની મુલાકાતે
કથિત ગેંગરેપનો કોયડો ઉકેલવા પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એડી ચોટીનું જોર લગાવી રહી છે.
ઉત્તર પ્રદેશની 19 વર્ષની યુવતી સાથે વેક્સિન ઈન્સ્ટિટયૂટ ખાતેનું કથિત ગેંગ રેપ પ્રકરણ રાજ્યભરમાં ગાજેલું છે. વડોદરા અને અમદાવાદ ઉપરાંત રેલવે પોલીસની ડઝનથી વધુ ટીમો વિવિધ થિયરીઓ પર તપાસ કરી રહી છે. ગુજરાત ક્વીન ટ્રેનમાં આપઘાત કરનાર યુવતી વડોદરાની એક સામાજીક સંસ્થા સાથે સંકળાયેલી હતી. આ સંસ્થાની ચાંદોદ ખાતે શાખા આવેલી છે. માંડવાથી કુબેર ભંડારી જતા રસ્તામાં કોતરમાં સંસ્થાનું બિલ્ડિંગ છે. આજે પોલીસની એક ટીમ ચાંદોદ તપાસમાં ગઈ હતી. આ સંસ્થા સાથે સંકળાયેલા કેટલાંક વ્યક્તિઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. મૃતક યુવતીની ચાંદોદ સ્થિત સંસ્થાની શાખામાં અવર-જવર હતી? યુવતીનું સંસ્થાની ચાંદોદ શાખા સાથે કંઇ કંનેક્શન છે કે નહીં? તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે. આ સંસ્થાની ચાંદોદ શાખામાં ફરજ બજાવતા એક વ્યક્તિને પોલીસ વધુ પુછપરછ માટે વડોદરા લાવી હોવાનું સૂત્રો પાસે જાણવા મળ્યું છે. કથિત ગેંગ રેપ પ્રકરણનો ઘટસ્ફોટ થયાં બાદ પોલીસની વિવિધ ટીમોએ આ સંસ્થા સાથે સંકળાયેલા 17 થી 18 વ્યક્તિઓની પૂછપરછ કરી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવતી પોતાનો મોબાઇલ ફોનનો ન હતો. નવસારીમાં યુવતીએ તેના ભાઇના ફોનનો ઉપયોગ કર્યો હતો. મૃતક યુવતીએ જે ફોનનો ઉપયોગ કર્યો તેના વોટ્સએપ મેસેજ તથા કોલ્સની વિગતો પોલીસે મંગાવી છે.
નજીકના ભવિષ્યમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવશે: સુભાષ ત્રિવેદી, રેલવે રેન્જ IG
રેલવેના રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ કહ્યું કે આ કેસ કોઈપણ સંજોગો માં ટ્રેક કરવામાં આવશે. શકમંદો પર ફોકસ કરીને ગુનેગારોને શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નજીકના ભવિષ્યમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવશે. આ કેસ મુદ્દે 200 લોકો ની અટકાયત કરી પૂછપરછ થઈ રહી છે. પોલીસ કમિશનર જાતે આ કેસ પર નજર રાખી રહ્યા છે.
CMના આગમન પૂર્વે પોલીસ ગેંગરેપનો કોયડો ઉકેલશે?
રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મંગળવારે વહેલીસવારે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. સીએમના આગમન પૂર્વે પોલીસ કથિત ગેંગરેપનો કોયડો ઉકેલશે કે નહીં? તે મુદ્દે ભાજપની લોબીમાં ટૉક ઓફ ધી ટાઉન બન્યો છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર ભાજપ દ્વારા 16મી નવેમ્બરના રોજ નવલખી મેદાન ખાતે સ્નેહ મિલન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રીના આગમન પહેલાં કથિત ગેંગરેપનો કોયડો ઉકેલવા વડોદરા શહેર પોલીસ, રેલવે પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એડી ચોટીનું જોર લગાવી રહી છે. શું પોલીસની ટીમો સીએમના આગમન પૂર્વે કથિત ગેંગ રેપનો કોયડો ઉકેલવામાં સફળ થશે? તે મુદ્દો ભાજપની લોબીમાં ચર્ચાઇ રહ્યો છે.
હાલમાં આત્મહત્યાની થીયરી ઉપર તપાસ જારી પી.એમ. રીપોર્ટ પછી નવી ફરિયાદ થશે
રેલવે આઈ.જી. સુભાષ ત્રીવેદીએ કહ્યુ હતુ કે હાલમાં આત્મહત્યાની તપાસ ચાલી રહી છે. આત્મહત્યા કરવા પાછળના જે કારણો સામે આવ્યા છે તે ચકાસીને આરોપીઓ સામે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણાં આપવાનો ગુનો નોંધાશે જેની તપાસ વલસાડ રેલવે પોલીસ કરશે. પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ ગેંગરેપની ફરીયાદ નોંધાશે. પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આજકાલમાં જાહેર થાય તેવી શકયતા છે.
આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રથી પીડિતાને ફોન કરનાર કોણ?
પીડિતાના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ પોલીસ ચેક કરી રહી છે. મોબાઈલ ઉપર આંધ્ર પ્રદેશ તથા મહારાષ્ટ્રથી ઈશ્યુ થયેલાં સીમકાર્ડ પરથી વાત થઈ હોવાનું પોલીસના ધ્યાને આવ્યુ છે. જે મેસેજીસ થયા છે તે પણ પોલીસ ચેક કરી રહી છે. ગુજરાત બહારના નંબર ઉપરથી આવેલો ફોન પોલીસના શંકાના દાયરામાં છે.
સુરત સ્ટેશને શંકાસ્પદ શખસ પીછો કરતો દેખાયો..!
તા.૨૯મી ઓકટોબરે દુષ્કર્મની ઘટના બની ત્યાર પછી તા.31મી ઓકટોબરે પીડિતાએ વડોદરા શહેર છોડયુ હતુ. તા.૩જીએ સુરત રેલવે સ્ટેશન ખાતેના સીસીટીવી ફુટેજમાં પીડિતા કેદ થઈ છે. હાફ પેન્ટ અને ટીશર્ટધારી શખસ પીડિતાનો પીછો કરતો જણાય છે. પીડિતાએ ડાયરીમાં આરોપીનું જે વર્ણન 21-22 વર્ષનુ લખ્યુ છે તે જોતા હાફપેન્ટધારી શખસની ઉંમર પણ તેટલી જ જણાય છે.
વેક્સીન કેમ્પસમાં જ પીડિતાની હત્યાનો પ્લાનિંગ હતો?
આ સમગ્ર મામલામાં પીડિતાએ આત્મહત્યા કરતા પહેલા ડાયરીમાં કરેલુ લખાણ પોલીસ માટે મહત્વનો પુરાવો છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી પ્રમાણે આ ડાયરીમાં એવુ પણ લખ્યુ છે કે, આરોપીઓ હિંદીમાં અંદરો અંદર વાતચીત કરતા હતા. આરોપીઓ મવાલી જેવા લાગતા નહોતા, તેમની ઉંમર આશરે ૨૧-૨૨ વર્ષની આસપાસ હતી. પીડિતાને મારી નાંખવાના પ્લાનની વાતો કરતા હતા. પોલીસે તે દિશામાં પણ તપાસનો દોર લંબાવ્યો છે.
આત્મહત્યા નહીં કરવા કાઉન્સેલીંગ કરતી પીડિતાએ જ સ્યુસાઈડ કર્યું
શહેરના એક ઉચ્ચ પોલીસ અદિકારીએ જણાવ્યુ હતુ કે, દુષ્કર્મની ઘટના પછી આત્મહત્યા કરી લેનાર ૧૯ વર્ષીય યુવતી આત્મહત્યા નહીં કરવી જોઈએ અને આ સીવાય આધ્યાત્મીક વિષયો ઉપર કાઉન્સેલીંગ કરતી હતી. પોલીસે એન.જી.ઓ. પાસે પણ ઘણી હકીકતો માગી હોવાનું જાણવા મળે છે. અહિં એ નોંધવુ જરુરી છે કે, પીડિતા કઈ હદ સુધી માનસીક રીતે તુટીને હતાશ થઈ હશે કે પોતે આત્મહત્યા નહીં કરવાનું કાઉન્સેલીંગ કરતી હતી આમ છતાં જાતે સ્યુસાઈડ કર્યુ હતુ. ઘણાં પ્રશ્નો તપાસ માગી લે તેવા છે.