– કોહલી બીજી ટેસ્ટથી પહેલા ટીમ સાથે જોડાઈને સુકાન સંભાળશે
– ૨૫ નવેમ્બરથી કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ શરૃ થશે.
ભારતીય પસંદગીકારોએ ન્યૂઝિલેન્ડ સામે ૧૭મીથી શરૃ થનારી ત્રણ ટી-૨૦ની શ્રેણીમાં નિયમિત કેપ્ટનની સાથે બુમરાહ અને જાડેજાને આરામ આપ્યો હતો. હવે પસંદગીકારો કોહલીને ન્યૂઝિલેન્ડ સામેની ૨૫ નવેમ્બરથી શરૃ થનારી પ્રથમ ટેસ્ટમાં પણ આરામ આપવાના છે. ત્યારે સતત ક્રિકેટ રમીને થાકેલો રોહિત શર્મા ન્યૂઝિલેન્ડ સામેની બે ટેસ્ટની શ્રેણીમાં રમવાનો નથી તેવું સુત્રો જણાવી રહ્યા છે. વિરાટ અને રોહિતની ગેરહાજરીમાં તારીખ ૨૫મી નવેમ્બરથી કાનપુરના ગ્રીનપાર્કમાં શરૃ થનારી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં અજિંક્યા રહાણે કેપ્ટન્સી સંભાળશે.
વિરાટ કોહલી તારીખ ૩ ડિસેમ્બરથી મુંબઈના વાનખેડેમાં શરૃ થનારી બીજી ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાઈ જશે અને તે બીજી અને આખરી ટેસ્ટમાં સુકાન સંભાળી લેશે. ગુરુવારે મળેલી પસંદગીકારોની મિટિંગમાં કોહલીને પ્રથમ ટેસ્ટમાં અને રોહિતને આખી સિરીઝમાં આરામ આપવાનો નિર્ણય લેવાયો હતો. આ દરમિયાન જ રહાણેને પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન્સી સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.
ભારતના ચાર નિયમિત ટેસ્ટ પ્લેયર્સ બુમરાહ, શમી, પંત અને શાર્દૂલ ઠાકુરને ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવશે તે પણ નક્કી જેવું જ લાગી રહ્યું છે. સૂત્રો જણાવે છે કે, કોહલીએ જ્યારે પ્રથમ ટેસ્ટમાં આરામ માંગ્યો ત્યારે પસંદગીકારો મુંઝાયા હતા કારણ કે રોહિત શર્મા આખી શ્રેણીમાં રમવાનો નથી. આવી સ્થિતિમાં કોને કેપ્ટન્સી સોંપવી તે અંગે લાંબી ચર્ચા થઈ હતી. જોકે રહાણે ભૂતકાળમાં પણ કોહલીની ગેરહાજરીમાં સુકાન સંભાળી ચૂક્યો છે. જેના કારણે તેને ફરી સ્ટેન્ડ ઈન કેપ્ટન બનાવવાનો નિર્ણય ખાસ મુશ્કેલ નહતો. રોહિત પણ લાંબા સમયથી સતત ક્રિકેટ રમતો રહ્યો છે. ટી-૨૦ વર્લ્ડ કપ બાદ તે ૧૭મીથી ન્યૂઝિલેન્ડ સામે શરૃ થનારી ત્રણ ટી-૨૦ની શ્રેણીમાં પણ ભાગ લેવાનો છે. જેના કારણે તેને લાંબો બ્રેક આપવામાં આવે તે જરુરી છે.
રહાણેની આગેવાનીમાં યુવા ટેસ્ટ ટીમ
છેલ્લા કેટલાક સમયથી રહાણેનું ફોર્મ પણ ઉત્સાહજનક રહ્યું નથી.આમ છતાં રોહિત અને કોહલીની ગેરહાજરીમાં પસંદગીકારોએ ટીમના નેતૃત્વમાં મોટુ પરિવર્તન ટાળ્યું હતુ. ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ જોડી તરીકે રાહુલનું સ્થાન નક્કી જેવું જ છેે. તેની સાથે ગિલ કે મયંક અગ્રવાલનેઉતારવામાં આવી શકે છે. જ્યારેટેસ્ટમાં ફર્સ્ટ ચોઈસ વિકેટકિપર તરીકે સહા રહેશે. જ્યારે રાહુલ માત્ર બેટ્સમેન તરીકે રમશે. મીડલ ઓર્ડરમાં ચેતેશ્વર પુજારાની સાથે રહાણે અને હનુમા વિહારીને તક મળી શકે તેમ છે.