જગરનોટ ખાતે 11મી ડિસેમ્બરે ઓપનિંગ તથા 12મી ફેબ્રુઆરીએ ફાઇનલ રમાશે
વિશ્વભરની વિવિધ ફૂટબોલ લીગના કારણે આ રમતના સમર્થકો વધી રહ્યા છે અને તેમાં ગુજરાત પણ બાકાત રહ્યું નથી. 11મી ડિસેમ્બરથી જગરનોટ ખાતે અમદાવાદ ચેમ્પિયન્સ લીગ (એસીએલ) ફૂટબોલ લીગનો પ્રારંભ થયો છે. આ ટૂર્નામેન્ટમાં આઠ ટીમો વચ્ચે કુલ 60 મુકાબલા રમાશે.
ગયા રવિવારે આ લીગ માટે 120 ખેલાડીઓની હરાજી થઈ હતી જેમાં કેટલાક વિદેશી ખેલાડીઓ, આઇ લીગમાં રમતા સ્ટાર પ્લેયર્સનો પણ સમાવેશ થાય છે. પ્રત્યેક ફ્રેન્ચાઇઝીએ 12 ખેલાડીઓને ખરીદવાના હતા અને તેમાં અંડર–21ના ચાર ખેલાડીઓ ફરજિયાત હતા. પ્રત્યેક ટીમ પાસે ત્રણ લાખ રૂપિયાનું બજેટ હતું અને શિલ્પ સિટી ગોલ્ડ સ્ટ્રાઇકર્સે આઇ લીગ પ્લેયર આદિત્ય ઝાને હાઇએસ્ટ 84 હજાર રૂપિયાના બિડિંગ સાથે ખરીદ્યો હતો. નોંધનીય છે કે, ખેલાડીઓની હરાજી પાછળ કુલ 24 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. વિજેતા ટીમને પાંચ લાખ અને રનર્સ–અપ ટીમને 2.5 લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.
એસીએલની આઠમી સિઝન અંગે માહિતી આપીને જગરનોટના મેનેજિંગ ડિરેક્ટર નિકી શાહે જણાવ્યું હતું કે, સિટી લેવલની ટૂર્નામેન્ટમાં ફૂટબોલર્સને એક સિઝન માટે સેલેરી આપે તેવી આ પ્રથમ લીગ છે. સફળતાપૂર્વક સાત સિઝન પૂરી કર્યા બાદ ભારતમાંથી અન્ય કેટલીક ફ્રેન્ચાઇઝીઓ અમારી સાથે જોડાવા માગે છે પરંતુ હાલમાં હવે અમે ગર્લ્સ માટેની ફૂટબોલ લીગ ઉપર ધ્યાન આપી રહ્યા છીએ.
