વેપારીઓએ પ્રાંત કચેરીની ફોજદારી શાખામાં સ્ટોલ ઉભા કરવાની અરજી કરી
તંત્રે નગરપાલિકા, પોલીસ, ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરી પાસેથી મંગાવ્યા અભિપ્રાયો
દિવાળીનું પ્રકાશ પર્વ નજીક આવી રહ્યું છે, એવામાં તહેવારને લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલને તંત્ર દ્વારા મંજૂરી મળે તેવી માંગણી સાથે 72 જેટલા વેપારીઓએ પરવાનગી માટે અરજી કરી છે.
મહેસાણા શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં એસ.ડી.એમ ઓફિસ દ્વારા દિવાળીમાં વેપારીઓને ફટાકડાના સ્ટોલ ઉભા કરવા માટેની પરવાનગી આપવામાં આવતી હોય છે. આ વર્ષે કોરોના ગાઈડલાઈનની મર્યાદા સાથે દિવાળી તહેવાર મનાવવાની સરકારે છૂટછાટ આપી છે, ત્યારે મહેસાણા પ્રાંત કચેરીની ફોજદારી શાખામાં વેપારીઓએ ફટાકડાંના સ્ટોલ ઉભા કરવાની માંગણી કરી છે, જેના અંતર્ગત કુલ 72 વેપારીઓએ અરજી કરી છે.
ફટાકડાના સ્ટોલની મંજૂરી મેળવવા માટેની અરજી કરવાની આખરી તારીખ 5 ઓક્ટોબર હતી, જે મુદત પૂરી થઈ જતા તંત્ર દ્વારા ફટાકડાના ધંધાર્થીઓ અંગેનો અભિપ્રાય નગરપાલિકા, પોલીસ, ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરી પાસેથી મંગાવવામાં આવ્યા છે. આ અભિપ્રાયો આવી ગયા બાદ તંત્ર કાયદાની મર્યાદામાં રહીને ફટાકડાના સ્ટોલ શરૂ કરવાની મંજૂરી આપશે.