તબીબોએ નજીકમાં હોસ્પિટલો, નર્સિંગહોમ શરૂ કર્યા
સુપ્રિમ કોર્ટે ફાયર સેફ્ટી મામલે હોસ્પિટલોની ગંભીર બેદરકારીને સાંખી નહીં લેવા અંગે કડક વલણ આપનાવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા કોમર્શિયલ બિલ્ડિંગ યુઝ (BU) પરમીશન નહીં ધરાવતા બિલ્ડિંગને નોટિસ ફટકારવાને પગલે 42 હોસ્પિટલ- નર્સિંગ હોમ્સ અને 19 સ્કુલોને બંધ થવાને આરે આવીને ઉભી છે. મ્યુનિ. કોર્પોરેશનના પરમીશન આવશ્યક હોય તેવી હોસ્પિટલો, નર્સિંગ હોમને બંધ કરવા નોટિસ આપવાને પગલે ડોક્ટરો- સર્જન દ્વારા ‘પ્રેક્ટિસ ગુમાવવી ન પડે’ અને પોતાના કાયમી પેશન્ટને તબીબી સુવિધા પૂરી પાડી શકાય અને દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે હેતુસર નજીકમાં આવેલ બિલ્ડિંગમાં પોતાના નર્સિંગ હોમ અને હોસ્પિટલ શરૂ કરવાની તેમને ફરજ પડી છે.
અમદાવાદ, સુરત સહિત વિવિધ શહેરોમાં કોવિડ-19ના દર્દીઓને સારવાર પૂરી પાડતી હોસ્પિટલોમાં સર્જાયેલી ભીષણ અને જીવલેણ આગ દુર્ઘટનામાં કેટલાંક દર્દીઓના મોત નીપજ્યા હોવાની અને કેટલાંક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે જીવલેણ આગ દુર્ઘટનાઓ અંગે ગંભીર વલણ અપનાવીને ફાયર સેફ્ટી મામલે હોસ્પિટલોની ગંભીર બેદરકારીને સાંખી નહીં લેવા અંગે કડક વલણ આપનાવ્યું હતું. લગભગ 30 વર્ષ પહેલાં હોસ્પિટલ અને નર્સિંગ હોમ બનાવવામાં આવ્યા હતા ત્યારે હાલની જેમ ફાયર સેફ્ટીના નિયમો અમલી નહોતા તેમજ મોટાભાગની હોસ્પિટલો ‘ગામતળ’માં આવેલી હોવાથી નવા નિયમોનું પાલન કરીને રીટ્રોફિટિંગ કરવાનું પણ મુશ્કેલ હોવાનું તબીબો અને સ્કુલ સંચાલકોનું કહેવું છે.
