પીએમ મોદીનાં નેતૃત્વમાં સરકાર દ્વારા બહુવિધ પગલાં લઈને ભાવને કાબૂમાં રાખવાનાં પ્રયાસો કરાઈ રહ્યા છે
ખાદ્યતેલમાં 46.15 ટકાનો ભાવવધારો
NCDEXમાં સરસવ તેમજ તેલીબિયાંનો વાયદાનો વેપાર બંધ
દેશમાં તહેવારોની મોસમ શરૂ થઈ છે ત્યારે ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. સરકાર દ્વારા ખાદ્યતેલના ભડકે બળતા ભાવને કાબૂમાં લેવા માટે સ્ટોકમર્યાદા લાદવામાં આવી છે. ગ્રાહક બાબતોના વિભાગ, અનાજ અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી સ્ટોકમર્યાદા 31 માર્ચ 2022 સુધી અમલમાં રહેશે. મોંઘવારી વધતા ગૃહિણીઓનાં બજેટ ખોરવાઈ ગયાં છે. સરકારે 8મી ઓક્ટોબરથીNCDEXમાં સરસવનું તેલ તેમજ તેલીબિયાંના વાયદાના વેપાર પર રોક લગાવી છે. સરકારને આશા છે કે સ્ટોકમર્યાદા લાદવામાં આવ્યા પછી ખાદ્યતેલના ભાવ ઘટશે અને આમઆદમીને રાહત મળશે. દેશમાં છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં 46.15 ટકાનો વધારો થતા લોકોની હાલાકી વધી છે.
8 સપ્ટેમ્બર 2021થી તાત્કાલિક અમલ
સરકાર દ્વારા ખાદ્યતેલના વેપાર માટે લાઈસન્સની જરૂરિયાતની નાબૂદી, સ્ટોકમર્યાદા અને નિિૃત ફૂડસ્ટફની હેરફેર પર નિયંત્રણો સુધારા આદેશ 2021નો 8 સપ્ટેમ્બર 2021થી તાત્કાલિક અમલમાં આવે તેવી રીતે લાગુ કરવામાં આવ્યો છે.
વિશ્વબજારમાં પ્રવર્તતા ઊંચા ભાવની દેશમાં અસર
ખાદ્યતેલનાં વિશ્વબજારમાં પ્રવર્તતા ઊંચા ભાવની દેશમાં ખાદ્યતેલના ભાવ પર અસર થઈ છે અને દેશમાં પણ ખાદ્યતેલના ભાવમાં અસહ્ય વધારો થતા લોકોની મુશ્કેલી વધી છે. જો કે પીએમ મોદીનાં નેતૃત્વમાં સરકાર દ્વારા બહુવિધ પગલાં લઈને ભાવને કાબૂમાં રાખવાનાં પ્રયાસો કરાઈ રહ્યા છે. આયાત જકાતનું માળખું તર્કસંગત બનાવાયું છે, સ્ટોક દર્શાવવા માટે વેબ પોર્ટલ બનાવાયું છે.
સ્ટોકમર્યાદા કેટલી રાખવી તે તમામ રાજ્યો નક્કી કરશે
સરકારના આદેશ મુજબ તમામ પ્રકારના ખાદ્યતેલ અને તેલીબિયાંની સ્ટોકમર્યાદા કેટલી રાખવી તે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા નક્કી કરવામાં આવશે. સ્ટોકની પ્રાપ્તિ અને વપરાશની પદ્ધતિને આધારે સ્ટોકમર્યાદાનું પ્રમાણ નક્કી કરાશે.
નિકાસકારો અને આયાતકારોને સ્ટોકમર્યાદામાં શરતી રાહત
નિકાસકારો કે જેઓ ડ્ઢય્હ્લ્ દ્વારા આપવામાં આવેલો નિકાસકાર-આયાતકારનો કોડ નંબર ધરાવતા હોય અને નિકાસકારો એક રિફાઈનર, મિલર, એક્સટ્રેકર અને હોલસેલર કે રિટેલર કે ડીલરની રૂએ સ્ટોક ધરાવતા હોય તો તેમણે નિકાસ માટેનો જથ્થો કેટલો છે તે દર્શાવવાનું રહેશે. આયાતકારોએ પણ તેઓ ક્યાંથી કેવી રીતે કેટલા જથ્થામાં ખાદ્યતેલ અને તેલીબિયાં આયાત કરે છે તેનો સ્ટોક જાહેર કરવાનો રહેશે. વેપારીઓએ નક્કી કરેલી મર્યાદામાં સ્ટોક રાખવનો રહેશે અને વધારાનો સ્ટોક 30 દિવસમાં વેબપોર્ટલ પર જાહેર કરવાનો રહેશે.
| વિગતો | હાલના કિલોના ભાવ | એક વર્ષ પહેલાંના ભાવ | કેટલો વધારો ટકામાં |
| સોયા ઓઈલ | રૂ. 154.95 | રૂ. 106.00 | 46.15 ટકા |
| મસ્ટાર્ડ ઓઈલ | રૂ. 184.43 | રૂ. 129.19 | 43 ટકા |
| વનસ્પતિ ઓઈલ | રૂ. 136.74 | રૂ. 95.50 | 43 ટકા |
| સનફ્લાવર ઓઈલ | રૂ. 170.09 | રૂ. 122.82 | 38.48 ટકા |
| પામ ઓઈલ | રૂ. 132.06 | રૂ. 95.68 | 38 ટકા |