કચ્છમાંથી મંત્રીપદું ગયું: ડૉ.નીમાબેનને અધ્યક્ષ બનાવાશે?, હજુ વેઈટ એન્ડ વોચની સ્થિતિ, રાજકીય ચર્ચાઓ શરૂ

રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં નવા મંત્રીઓએ શપથ લીધા તેમાં કચ્છના એક પણ ધારાસભ્યને સ્થાન નથી મળ્યું. હવે વિધાનસભાના અધ્યક્ષ તરીકે કચ્છને સ્થાન મળે તેવી માગણી અને લાગણી બંને ઊભા થયા છે.
ભુજના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્ય દરેક સરકારની રચનામાં પ્રોટેમ સ્પીકર તરીકે જવાબદારી સંભાળતા હોય છે, ત્યારે હવે તેમને વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપીને કચ્છને ન ફાળવાયેલા મંત્રીપદની સામે સાટુ વાળી આપવામાં આવે તેવી રાજકીય ચર્ચા પણ ઊભી થઈ છે.
ગત ૧૦ વર્ષમાં રાજ્યમંત્રી તરીકે તારાચંદ છેડા અને વાસણ આહીરને સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે, હાલમાં વિજય રૂપાણીની સરકાર બરખાસ્ત થયા બાદ વાસણ આહીરના વળતા પાણી થયા અને નો રિપીટમાં તેમનું રાજ્યકક્ષાનું મંત્રીપદ છીનવાઈ ચુક્યું છે. નવી સરકારમાં એક પણ ધારાસભ્યને મંત્રી તરીકે ન સમાવતાં કચ્છ પરત્વે અવગણના રહી હોય તેમ નારાજગી ઊભી થઈ છે.
જોકે, ડૉ. નીમાબેનને વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા બાદ હવે કાયમી અધ્યક્ષ બનાવવામાં આવે તેવી સંભાવનાઓ પણ નકારી શકાતી ન હોવાથી હજુ વેઈટ એન્ડ વોચની સ્થિતિ માનવામાં આવી રહી છે.
મૂળ કોંગ્રેસી કૂળના હોવા છતાં બે દાયકાથી ભાજપમાંથી વિજયી બનતા હોવા છતાં તેમને હજુ મંત્રીપદ નસીબ થયું નથી. સિનિયર ધારાસભ્ય ગણાઈ રહ્યા છે પણ તેમની ઉંમર પણ એક કારણ માનવામાં આવતું રહ્યું છે. આવામાં હવે તેમને વિધાનસભાનું મોભેદાર પદ સોંપવામાં આવે તેવી સંભાવનાઓ પણ ઊભી થઈ છે.