ડીસાના હિંદુ યુવા સંગઠને પાલનપુર, દાંતા અને અંબાજી વચ્ચે યાત્રિકોને ભોજન પીરસ્યું
ડીસાના હિંદુ યુવા સંગઠન દ્વારા અંબાજી જતાં પદયાત્રિકોને વિનામૂલ્યે ભોજન પીરસાયું હતું.
યાત્રાધામ અંબાજીમાં આ વર્ષે સરકાર દ્વારા ભાદરવી પૂનમનો મેળો રદ કરાયો હતો. છતાં પોતાની બાધા- આખડી પુરી કરવા માટે માંઇભકતો પગપાળા દર્શન કરવા નીકળ્યા છે. જોકે, માર્ગો ઉપર કોઇ સ્થળે ભોજન સહિતના સેવાકેમ્પો બંધાયા ન હોવાથી તેમને મુશ્કેલીઓ પડી રહી છે. આવી સ્થિતિમાં ડીસાના હિંદુ યુવા સંગઠન દ્વારા દાંતા- અંબાજી વચ્ચે રવિવારે પદયાત્રિઓને વિનામૂલ્યે ભોજન પીરસવામાં આવ્યું હતુ.
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમે ભાવિકભક્તો માં અંબાને શિશ ઝૂકાવવા માટે નીજધામ પહોંચી રહ્યા છે. જોકે, સરકાર દ્વારા આ વખતે ભાદરવી પૂનમનો મેળો રદ કરી માત્ર માનતા- આખડી પુરી કરવા આવતાં શ્રધ્ધાળુઓને જ દર્શન કરવાની છુટ આપવામાં આવી હતી. જેથી અંબાજીને સાંકળતા માર્ગો ઉપર અગાઉની જેમ સેવાભાવી લોકો દ્વારા ભોજન સહિતના મોટા સેવાકેમ્પો બાંધવામાં આવ્યા ન હતા. પરિણામે પગપાળા જતાં શ્રધ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.
ત્યારે ડીસાના હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતીનભાઇ સોની, ધનશ્યામભાઇ સોની, કિશનભાઇ ગુજર, પ્રવિણભાઇ બોરવાલ, ચેતનભાઇ પરમાર, કનુભાઇ ખત્રી, નવીનભાઇ પરમાર, દશરથભાઇ રાણા, રાજુભાઇ સૈની સહિતના સદસ્યોએ રવિવારે પુરી, ચણાનું શાક બનાવી વાહન દ્વારા પાલનપુર, દાંતા અને અંબાજી વચ્ચે પગપાળા જતાં માંઇ ભકતોને વિના મૂલ્યે ભોજન પીરસ્યું હતુ. જેમના આ કાર્યની સરાહના કરવામાં આવી હતી.