સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચોરીના ત્રણ બનાવો નોધાયા છે. જેમાં જાદર પોલીસ સ્ટેશનમાં મંદિરમાં ચોરી અને હિંમતનગર એ ડીવીઝનમાં બે અલગ અલગ વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી થઈ હતી. આ અંગેની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મંદિરમાંથી ચાંદીનું છત્ર સહિતની વસ્તુઓ ચોરાઈ
ઈડરના આર્સોડીયા ગામે 14મી જાન્યુઆરીની રાત્રે તસ્કરોએ ત્રાટકીને ગામમાં આવેલા વીર મહારાજના મંદિરના દરવાજાનો નકુચો કોઈ સાધન વડે તોડી નાખી અંદર પ્રવેશ કર્યો હતો. તસકરોએ મંદિરમાં મુકેલા પતરાની પેટીમાંથી રોકડા 1400 રૂપિયા તથા વીર મહારાજની મૂર્તિ પર લગાડેલા ચાંદીનું છત્ર 300 ગ્રામ વજનનું 15 હજાર રૂપિયાનું તથા મંદિરની બાજુમાં આવેલા ઓરડીનું તાળું તોડી અંદરથી જૂની તલવાર 200 રૂપિયાની મળી કુલ 16,600 રૂપિયાની મત્તાની ચોરી કરી લઈ જતા જાદર પોલીસ સ્ટેશનમાં ગામના અદરસિંહ નારસિંહ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે.
બંધ ઘરમાંથી 5.44 લાખની ચોરી
હિંમતનગરના બળવંતપુરા ગોકુલનગર દુર્ગા એપાર્ટમેન્ટમાં એ-102 નંબરના બંધ ફ્લેટમાં 15મી જાન્યુઆરીની રાત્રિએ તસ્કરોએ ત્રાટકીને બંધ ફ્લેટના દરવાજાનો નકુચો તોડી રૂમમાં ઘુસ્યા હતા. થસ્કરોએ બેડરૂમમાં લાકડાના કબાટમાં મુકેલા સોનાના દાગીના જેમાં બે મંગળસૂત્ર, એક ચેન, આઠ જોડ બુટ્ટી, નાકમાં પહેરવાની ચુની સહિત 10 તોલાના સોનાના દાગીના તથા 40 હજાર રોકડ રૂપિયા અને બાળકોના બચતના ડબ્બામાંથી 4 હજાર મળી કુલ 44 હજાર રૂપિયા રોકડા તથા સોનાના દાગીના અંદાજે 5 લાખ રૂપિયાના મળી કુલ 5 લાખ 44 હજારની મત્તાની ચોરી થઈ હતી. આ અંગે હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હિરેનકુમાર પ્રેમાનંદ પંડ્યાએ ફરિયાદ નોંધાવી છે.
1.13 લાખની ચોરી કરી તસ્કરો ફરાર
હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ ગ્લોરીયસ સ્કુલની બાજુમાં આવેલ પલ હોમ્સ સોસાયટીમાં આવેલ 38 નંબરના મકાનમાં 15 જાન્યુઆરીની રાત્રે તસ્કરોએ ત્રાટકીને બંધ મકાનનો નકુચો અને ઈન્ટરલોક તોડી અંદર પ્રવેશ કરી સોનાનું મંગળસૂત્ર એક તોલાનું રૂ 50 હજાર તથા એક જોડ બુટ્ટી, કાનની સેર એક તોલાની 50 હજાર રૂપિયા, ચાંદીની લકી 15 ગ્રામની 1080 રૂપિયાની તથા રોકડ 12 હજાર રૂપિયા આમ કુલ 1 લાખ 13 હજાર 80ની મત્તાની ચોરી થઇ હતી. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેજસકુમાર પ્રવિણચન્દ્ર પારેખે ફરિયાદ નોંધાવી હતી.