પાટણ લોકસભા બેઠક ઉપર ભાજપનો ભગવો ફરી લહેરાય તે માટે લોકસભાની ચૂંટણીને તૈયારીના ભાગરૂપે કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ શનિવાર અને રવિવાર બે દિવસ જિલ્લાના પ્રવાસે આવ્યા છે. જેમાં પ્રથમ દિવસે જ લોકસભાની ચૂંટણી અનુલક્ષી ભાજપના નેતાઓ સાથે તૈયારીઓ અંગે સમીક્ષા કરી આગામી આયોજન અંગે ચર્ચા કરી પ્રધાનમંત્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મળતી સહાયો અંગે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી તેમના અભિપ્રાયો જાણી જિલ્લામાં વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો આ યોજનાનો લાભ થાય તે માટે કલેક્ટરને સૂચન કર્યું હતું.
યુનિવર્સિટીના ખાતે લાભાર્થીઓ સાથે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.જેમાં લાભાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રીની ઉજ્જવલા યોજના , પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓ અંગે લાભ મેળવી પોતાના જીવનમાં અનેક ફેરફારો આવ્યા હોય ખુશી વ્યક્ત કરી હતી.
સંબોધનમાં જણાવ્યું કે આજે ઐતિહાસિક નગરી પાટણમાં આવીને સામાન્ય નાગરિકની પ્રતિક્રિયાઓ સાંભળીને ખુશી થઈ છે. આજે પ્રધાનમંત્રી માત્ર એક બટન દબાવે અને તરત જ લાભાર્થીઓ ખાતામાં તુરંત જ પૈસા જમા થઈ જાય છે, આ માત્ર ભારત દેશમાં જ થઈ રહ્યું છે. કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી સહિત વહીવટી વડાઓ અને લાભાર્થીઓ હાજર રહ્યાં હતાં.
પાટણ વિધાનસભાની હાર લોકસભામાં ના નડે માટે પક્ષ કામે લાગ્યું
પાટણ વિધાનસભામાં ભાજપની હાર બાદ પ્રદેશ કક્ષાએથી હારના કારણો જાણવા કાર્યકરોને ગુપ્ત ચિઠ્ઠીમાં ફરિયાદો લખીને મોકલવા સૂચના અપાઇ હતી. આ ફરિયાદો અંગે પ્રદેશ કક્ષાએથી કેટલાક કાર્યકરોને રૂબરૂ બોલાવીને પણ પૂછપરછ કરાવી રહી છે.
કેન્દ્રીય મંત્રીએ વિધાનસભામાં હાર મામલે નેતાઓ સાથે પરામર્શ કરી લોકસભામાં અસરના પહોંચે અને જંગી મતોથી લોકસભા જીતી શકાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. વિધાનસભામાં મળેલી હાર લોકસભામાં અસર ના કરે માટે સ્થાનિક જિલ્લા કક્ષાએથી લઇ પ્રદેશ સુધી ભાજપ કામે લાગ્યું છે.
આજે રાણકીવાવ અને મંદિરોની મુલાકાત લેશે
નાણામંત્રી ડૉ.ભાગવત રવિવારે પણ પાટણ શહેર સહિત જિલ્લામાં પ્રવાસ કરવાના છે. જેમાં રાણકીવાવની મુલાકાત બાદ નજીકના મંદિરોના દર્શન કરી બે દિવસમાં ભાજપના નેતાઓ તેમજ જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથેની બેઠકમાં કરેલ ચર્ચાઓ સાથે જિલ્લાની સમીક્ષા અંગે પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયા સાથે સંવાદ કરશે.