ચોમાસા બાદ પણ મગરો શહેરમાં ઘૂસી આવવાના બનાવો સામે આવી રહ્યા છે
વડોદરા શહેરના રાજમહેલ રોડમાંથી 4.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કરાયો
ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના સ્વયંસેવકોએ શનિવારે રાત્રે વડોદરા શહેરના રાજમહેલ રોડમાંથી 4.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો.
મગરને સહીસલામત રીતે રેસ્ક્યૂ કર્યો
વડોદરા શહેરના રાજમહેલમાં મગર ઘૂસી આવતા સ્વયંસેવક રીનવ કદમ, નરેન્દ્ર ચૌહાણ અને રાજ ભાવસાર સ્થળ પર પહોંચી ગયા હતા અને મગરને સાવચેતીપૂર્વક મગરને રેસ્ક્યૂ કર્યો હતો. ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના માનદ મંત્રી રાજ ભાવસારે જણાવ્યું હતું કે, કાલે રાત્રે 10:30 વાગ્યે અમને કોલ મળ્યો હતો કે, રાજમહેલના ગેટ નં-3 પાસે મગરનું બચ્ચુ આવી ગયું છે અને ગાર્ડનમાં ફરી રહ્યું હતું. જેથી અમે સ્થળ પર પહોંચી ગયા હતા અને મગરને સહીસલામત રીતે રેસ્ક્યૂ કર્યો હતો અને વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગમાં મગરને મોકલી આપ્યો હતો.
ચોમાસા બાદ પણ મગરો નદીની બહાર આવી રહ્યા છે
વડોદરા શહેરમાં સામાન્ય રીતે ચોમાસામાં મગરો વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ, ચોમાસા બાદ પણ કેટલાક દિવસથી મગરો શહેરમાં ઘૂસી આવવાના બનાવો સામે આવી રહ્યા છે.
આ પહેલા નદીમાંથી મગરને રેસ્ક્યૂ કરતા વિવાદ થયો હતો
વડોદરા શહેરના કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી 10 ફૂટ લાંબો મગર સવારે વન વિભાગ અને ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થા દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા 10 દિવસમાં આ મગરે નદી કિનારે આવેલી ચતુરભાઇની ચાલી પાસેથી કૂતરા અને ભૂંડનો શિકાર કર્યો હતો. મગર ચાલીના બાળકો તેમજ મોટા માણસોનો શિકાર કરે તે પહેલાં રેસ્ક્યૂ કરી લેવામાં આવતા ચાલીના લોકોએ રાહત અનુભવી હતી. પાંજરામાં પૂરાયેલા આ મહાકાય મગરને લઈ જવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી. જોકે, નદીમાંથી મગરને રેસ્ક્યૂ કરવામાં આવતા વિવાદ થયો હતો.