ચકચારી આર્યન મોદી હત્યા કેસમાં પોલીસને મહત્વની સફળતા હાંસલ થઈ છે. જેમાં વધુ 5 આરોપીઓને લુણાવાડાથી ઝડપી લીધા છે.હત્યામાં સામેલ તમામ 9 આરોપીઓ હાલમાં પોલીસની રડારમાં હોવાનું ખુલ્યું છે જેમને પ્રાથમિક પૂછપરછ બાદ કાયદેસર અટકાયત જાહેર કરાશે, 5 આરોપીઓ મહીસાગરના લુણાવાડાથી ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપાયા હતા. પાછલા 5 દિવસથી પોલીસની ચાર ટીમો આરોપીઓની શોધ ખોળ કરવા તપાસ કરી રહી હતી.જેમાં ચાર આરોપીને બે દિવસ અગાઉ ઝડપી લીધા હતા.રજા પર ગયેલા એસપી અક્ષયરાજના આવ્યા બાદ અધિકૃત રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરાશે તેવી વિગતો પ્રાપ્ત થઈ છે.
પાછલા પાંચ દિવસથી સમગ્ર શહેરમાં એ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન હતો કે આરોપીઓને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં લવાઈ તો રહ્યા છે પરંતુ જાહેર કેમ કરાતા નથી ત્યારે હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે એક પછી એક તમામ આરોપીઓને એક સાથે જાહેર કરવાની પોલીસની થીયરી હોવાથી એક એક આરોપી જાહેર કરાયા નહોતા હવે એક સાથે તમામની અટકાયત દર્શાવીને કોર્ટમાં રજૂ કરાશે. મહત્વની વાત એ રહી હતી કે આર્યનને જે ખેતરમાં ટોર્ચર કરાયો હતો તે ખેતર માલિક જગાણા ગામના હોવાનું સામે આવ્યું હતું.
ફરિયાદ 7 સામે નોંધાઈ,સંડોવણી 9ની ખુલી
આર્યનનું અપહરણ કરીને પાલનપુરના અમદાવાદ હાઇવે પાસેના એસબીપુરા પાટીયા નજીકના ફાર્મ હાઉસમાં આર્યનને ટોર્ચરના મામલામાં અગાઉ 7 સામે ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન 9 લોકોની સંડોવણી ખુલ્લી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે.
છાપી પોલીસે કાર માલિકના ઘરે તપાસ કરી હતી
સ્થાનિક ગ્રામજને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે વડગામ તાલુકાના વેસા ગામના સરદારભાઈ પરથીભાઇ ચૌધરીના નામે કાર હતી જેથી છાપી પોલીસની ટીમે કારના સરનામે તપાસ હાથ ધરી હતી. જે મામલામાં કેટલાકને પૂછપરછ માટે લઈ જવાયા હતા.
જગાણાના યુવકનું નામ પોલીસ તપાસમાં ખુલ્યું
પાલનપુર તાલુકા પોલીસે જુદી જુદી એફર્ટ લગાવીને ગુનાનું ડિટેકશન કરવા માટે પંચને સાથે રાખીને જ્યાં ગુનો આચરવામાં આવ્યો હતો તે ખેતરમાં તપાસ કરી ખેતર માલિકની પૂછપરછ કરી એક પછી એક કડીઓ મેળવી હતી. દરમિયાન જગાણા ગામમાંથી ખેતર માલિકના પુત્રની સંડોવણી હોવાનું ખુલતા જગાણા ગામમાં હડકંપ મચી ગયો હતો.