ગુજરાત મેડીકલ કાઉન્સિલે આરોગ્ય વિભાગને આપેલા જવાબમાં ભાંડો ફૂટ્યો
પાટણમાં પ્રસિદ્ધ હોસ્પિટલના ડૉકટર યોગેશ પટેલ બી.એ.એમ.એસ હોવા છતાં બીજાના એમબીબીએસ ડિગ્રીના રજિસ્ટ્રેશન નંબરનો ખોટો ઉપયોગ કરી એમ.ડી અને એમ.બી. બી.એસ ડૉકટર તરીકે દોઢ વર્ષથી શહેરમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ગુજરાત મેડીકલ કાઉન્સિલે આરોગ્ય વિભાગને આપેલા જવાબમાં ભાંડો ફૂટ્યો છે. વધુમાં એમબીબીએસ ડૉકટર તરીકે તેમને રજૂ કરેલું સર્ટી પણ ખોટું છે. પત્રમાં દર્શાવેલ વિગતો જોતાં યોગેશ પટેલ એમ.બી.બી. એસ કે એમ. ડી ડૉકટર ન હોવાનુ સાબિત થયું છે.
આરોગ્ય વિભાગે ડિગ્રીની વિગતો મંગાવી
પાટણમાં જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં દોઢ વર્ષથી આઇસીયુ અને હોસ્પિટલ ચલાવતા ડૉ. યોગેશ પટેલની એમ.બી.બી.એસ.ની ડિગ્રી અને તેમના નામની વિસંગતતા સામે આવતા આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં તપાસ કરતા ડૉક્ટર હોસ્પિટલ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી જતાં આરોગ્ય વિભાગે ડોક્ટર સામે કાર્યવાહી કરવા માટે શુક્રવારે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પત્ર લખી ડોક્ટરની ડિગ્રીની વિગતો માગવામાં આવી છે.
બીજાના નામની ડિગ્રી
કાઉન્સિલ દ્વારા જવાબ રૂપે સોમવારે જિલ્લા આરોગ્ય વિભાગને પત્ર સાથે વિગતો મોકલી આપવામાં આવી હતી. જેમાં દર્શાવવામાં આવ્યુ છે કે, રજિસ્ટ્રેશન નંબરની ચકાસણી કરતા યોગેશ પટેલ દ્વારા એમ.બી.બી.એસની જે ડિગ્રી રજિસ્ટ્રેશન નંબર G-18505 આપવામાં આવ્યો છે. તે ડિગ્રી તેમનાં નામની નથી તે ડિગ્રી સંઘવી આશેષ હર્ષદભાઈના નામની ગુજરાત યુનિવર્સિટી 1990માં મેળવેલી છે. તેમજ તેમનાં નામે મેડીકલ કાઉન્સિલમાં કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવેલ નથી. તેમજ તેમને દર્શાવેલ મેડિકલ કાઉન્સિલ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન નંબર આજ દિન સુધી કોઈ પણ તબીબને ઇસ્યુ કરવામા આવ્યું નથી. જેથી સર્ટી બનાવટી ઉપજાવી કાઢેલા હોવાનુ જાણવા મળ્યું છે. જે આરોગ્ય વિભાગને વિગતો મોકલી આપેલી છે. મેડિકલ કાઉન્સિલના પત્ર મામલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ઇન્ચાર્જ કલેકટરને ટેલિફોનિક સંપર્ક કરતા સંપર્ક કરી ના શકતા પત્ર મામલે કોઈ પુષ્ટિ થઇ શકી ન હતી.
કાર્યવાહી કરવા માંગ
પાટણ મેડિકલ કાઉન્સિલના પ્રમુખ હીનેશ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા આરોગ્ય વિભાગને આપેલી વિગતોનો પત્ર અમને મળ્યો છે. જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, તેમને બીજા ડોક્ટરની ડિગ્રીનો રજીસ્ટ્રેશન નંબર ઉપયોગ કરી પોતાના ખોટા સર્ટી રજૂ કર્યા છે. એમબીબીએસની ડિગ્રી લીધેલી ન હોય ખોટા ડોક્યુમેન્ટ્સ અને બીજા ડૉકટરના રજિસ્ટ્રેશન નંબર ઉપયોગ કરી ખોટી રીતે પ્રેક્ટિસ કરી શહેરમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી જીવ જોખમમાં મૂકેલા હોય તેમની સાથે કાયદેસર નિયમ મુજબ ફોજદારી કાર્યવાહી થાય માટે અમારી માંગણી છે.