પાકિસ્તાનના સ્થાપક મોહંમદ અલી ઝીણાની બલૂચિસ્તાનના દરિયાકિનારાના ગ્વાદર શહેરના મરિન ડ્રાઈવ ખાતે આવેલી પ્રતિમાને બલોચી ક્રાંતિકારીઓએ બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાડી દીધી છે. બ્લાસ્ટમાં પ્રતિમા સંપૂર્ણપણે નાશ પામી છે. મરીન ડ્રાઈવ સેફ ઝોન ગણાય છે, અહીં ગયા જૂન મહિનામાં જ ઝીણાની પ્રતિમા સ્થાપવામાં આવી હતી. પાકિસ્તાનના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બલોચ રીપબ્લિકન આર્મીના પ્રવક્તા બાબગર બલોચે બોમ્બ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી હતી. અલગ બલૂચિસ્તાનની માગ કરી રહેલા બલોચી આતંકીઓ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનને ચેન લેવા દેતા નથી. તેઓ ચીનના પ્રોજેક્ટના કટ્ટર વિરોધી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આતંકીઓ પ્રવાસીઓના સ્વાંગમાં અહીં આવ્યા હતા અને બોમ્બ પ્લાન્ટ કરી ગયા હતા. પછી રિમોટથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. દરેક એન્ગલથી તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થતાં ગુનેગારો ચોક્કસ ઝડપાઈ જશે.
થોડા દિવસ પહેલાં જ હારનાઈ જિલ્લાના ખોસ્ત વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યના એક વાહનને બોમ્બથી ઉડાડી દીધું હતું. તેમાં ચાર સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૦૧૩માં બલોચી આતંકવાદીઓએ ઝીણા તેમને ટીબી જાહેર થયા પછી આખરી દિવસો દરમિયાન જ્યાં રહેતા હતા તે ૧૨૧ વર્ષ જૂની ઈમારતમાં સતત ગોળીબાર કરીને આગ લગાવી દેવામાં આવી હતી અને ચાર કલાક સુધી અગ્નિશમન કરવા દેવામાં આવ્યું નહોતું. તેથી બધું ફરનિચર અને યાદગીરીની ચીજો બળીને ખાખ થઈ ગયાં હતાં. આ ઈમારત પાકિસ્તાન દ્વારા રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવી હતી.