ચૌહાણનું ગ્રામીણ સમાજના સુધારાત્મક પરિવર્તન તરફ પ્રયાણ
બેઢીયા ગામના ડૉ.મહેશ વિજયસિંહ ચૌહાણ જેમને થોડા સમય પહેલા જ ગામમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરનાર પ્રથમ યુવાન તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેમણે ગ્રામીણ સમાજમાં પ્રવર્તતા જુદા જુદા બિનજરૂરી રિવાજો સંદર્ભે સમાજના વડીલો, સમાજના મોભાદાર વ્યક્તિઓ, કુટુંબના સભ્યો, માતા-પિતા તથા સમાજશાસ્ત્ર વિષયના અધ્યાપકો સાથે ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ તેમણે સ્વૈચ્છિક રીતે પોતાની પત્નીના સીમંત વખતે સાસરી પક્ષ તરફથી રિવાજના ભાગરૂપે આપવામાં આવતી સોના કે ચાંદીની કિંમતી ભેટ સન્માનપૂર્વક પરત કરી સમાજમાં ચાલી રહેલા આવા બિનજરૂરી કુરિવાજોને દૂર કરવા માટેની પહેલ કરી હતી. સાથે જ ગ્રામીણ સમાજનો યુવાવર્ગ કે જે આવતીકાલનું ભવિષ્ય છે તે આવા નાના નાના બિન જરૂરી રિવાજોનો કુટુંબ અને સમાજના અગ્રણીઓનો સહકાર પ્રાપ્ત કરી સ્વૈચ્છિક અસ્વીકાર કરે તો ધીમે ધીમે સમાજમાંથી આવા રિવાજોનુ પ્રભુત્વ નબળું પાડી શકાય તેમ છે. શિક્ષિત અને જાગૃત યુવાનોના આવા સ્વૈચ્છિક પ્રયત્નો ગ્રામીણ સમાજનો મોટોભાગ જે આર્થિક રીતે નબળો છે તેમના માટે આશીર્વાદરૂપ નીવડશે. આથી ગ્રામીણ સમાજના અન્ય યુવાનોને પણ સમાજમાં ચાલતા આવા રિવાજોને દૂર કરવા માટે યથાશક્તિ સ્વૈચ્છિક પ્રયત્નો કરવા પર ભાર મૂક્યો હતો. વધુમાં જણાવ્યુ હતું કે યુવાનોને આવનારો કોઈ વિચાર સમાજ માટે હિતકારી હોય તો વિચાર્યા વગર તેને સમાજ સમક્ષ અમલમાં મૂકવો જોઈએ અને સમાજે પણ તેનો સન્માન પૂર્વક આવકારવો જોઈએ.તેમના આ સમાજહિત અને ગ્રામીણ સમાજના અન્ય યુવાનો માટે કરેલ પ્રેરણારૂપ પ્રયાસમાં રહેલી ભવિષ્યલક્ષી દીર્ઘદૃષ્ટિને સમાજ અને પરિવારના વડીલોએ પણ ખુબ જ સરાહનીય ગણાવી હતી અને સહકારપૂર્વક આવકારી હતી.
ડૉ. મહેશ ચૌહાણે આ સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે “ગ્રામીણ મહિલાઓના આરોગ્યની સ્થિતિ અને સમસ્યાઓ” વિષય પરના પોતાના પી એચ.ડી.સંશોધનનાં ક્ષેત્રકાર્ય દરમિયાન તેમણે જોવા મળ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના પરિવારો એવા છે કે જેમની આર્થિક પરિસ્થિતિ ખુબજ નબળી છે. તેમણે પોતાનું સામાન્ય જીવન જીવવામાં પણ ઘણી બધી તકલીફો સહન કરવી પડતી હોય છે વળી આવી પરિસ્થિતિમાં સમાજમાં બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલતા કેટલાક ફરજિયાત રિવાજોને કારણે ગ્રામીણ સમાજના ઘણા બધા લોકો પોતાનો અને પોતાના પરિવારનો વિકાસ સાધી શકતા નથી. વળી ગ્રામીણ સમાજમાં લોકો ખેતી અને તેની સાથે પશુપાલન કરીને માંડ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આવી નિમ્ન આવક વાળી પરિસ્થિતિમાં ગ્રામીણ પરિવારો સમાજના કેટલાક ફરજિયાત રિવાજો પૂરા કરવા માટે સક્ષમ હોતા નથી. ઘણી વખત આવા રિવાજો વ્યક્તિ પૂરા કરી શકે તેમ ન હોય તો ઘરમાં કજિયો કંકાશ વધી જાય છે. ઘણી વખત દીકરીના માતા-પિતા આવા રિવાજો સમયે સોના ચાંદીની કિંમતી રકમ ન8 આપી શકે તો સમાજમાં તેઓ ટીકાપાત્ર બને છે અને દીકરીને પણ સાસરીમાં ઘણું બધું ના સાંભળવાનું સંભાળવું પડતું હોય છે. આ કારણે સમાજમાં પોતાનો મોભો અને ઇજ્જત ટકાવી રાખવા માટે આવા પરિવારોએ અન્ય પાસે પૈસા ઉછીના લેવા પડે છે, પોતાની જમીન ગીરવે મૂકવી પડે છે, ક્યારેક જમીન વેચી પણ દેવી પડે છે, ક્યારેક ઘરની અન્ય કિંમતી ચીજવસ્તુઓ વેચવી પડે છે. આ સ્થિતિમાં પરિવારોને ખુબ જ લાચારીનો સામનો કરવો પડે છે. ક્યારેક અપમાન પણ સહન કરવું પડે છે. આવા રિવાજો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા પરિવારો માટે અભિશાપરૂપ છે.
ડૉ. મહેશ ચૌહાણ સામાજિક સંશોધનોના કાર્યો સતત કરતાં રહે છે. તેમના દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પ્રકાશિત થયેલા જુદી જુદી સામાજિક બાબતો આધારિત ૧૨ જેટલા સંશોધન લેખો, ૧૫ જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં રજૂ કરેલા સંશોધનપત્રો તેમજ સામાજિક સંશોધન આધારિત ૪ પુસ્તકો આ બાબતને સમર્થન આપે છે.
અહેવાલ:-ભાવિનભાઈ પરમાર પંચમહાલ
પંચમહાલ કાલોલ ના બેઢીયા ગામના ડૉ.મહેશભાઈ વિજયભાઈ ચૌહાણ ની અનોખી પહેલ સમાજ માં જાગૃતિ લાવવા માટે પોતાની ધર્મપત્ની ના શ્રીમંત માં સાસરીપક્ષ તરફથી આપવામાં આવેલ સોના ચાંદી ના દાગીના સમ્માન પૂર્વક પરત કર્યા*
Views 110