ધાણેટીમાં આધેડની હત્યાનો મામલો:પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હોવાની શંકાએ દંપતીએ આધેડને ધોકા-લાકડી મારી પતાવી નાખ્યા હતા
ભુજ તાલુકાના ધાણેટીના ખેતરમાંથી આધેડ ઉમરના પુરૂષની શરીરે ઘાના નિશાન સાથે લાશ મળી આવી હતી. જેમાં પોલીસ તપાસમાં બાળકીને અડપલાં કર્યાની શંકાએ દંપતીએ આધેડની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે દંપતીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
રવિવારે હત્યા થઇ હતી
ધાણેટી ગામના ખેતરમાંથી રવિવારે સાંજે 50 વર્ષના લાખાભાઇ હીરાભાઇ કોલી નામના આધેડની લાશ મળી આવી હતી. હત્યાની શંકાને લઇને તેમના મૃતદેહના વિસેરા લઇ ફોરેન્સીક ચકાસણી માટે જામનગર મોકલવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે બારીકાઇથી તપાસ હાથ ધરી હતી.
પુછપરછમાં દંપતીએ ગુનો કબુલ કર્યો
પોલીસ તપાસમાં ગામના ભાવેશ નામના યુવાને ઝઘડાનું રેકોંડિંગ કર્યું હોવાનું સામે આવતા તેના આધારે તપાસ કરતા આ મામલો હત્યાનો હોવાનું સામે આવ્યું હતું. મૃતકની દીકરીએ આપેલી ફરિયાદ મુજબ આરોપી અરવિંદ પાયા કોલી અને રાધાબેન કોલીએ લાકડાના ધોકા મારી તેના પિતાની હત્યા કરી હતી. પોલીસે બંને આરોપીઓને પકડીને કડક પુછપરછ કરતા દંપતી ભાંગી પડ્યું હતું અને ગુનો કબુલ કર્યો હતો. જેમાં તેમની પાંચ વર્ષની બાળકી રમતી હતી ત્યારે આધેડે અડપલાં કર્યાં હોવાની શંકાએ આ ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું.