ઈન્ટરનેટના ધાંધિયા, ટેક્નિકલ કારણસર ખાતાંમાં સહાય જમા ન થઈ
દેશભરમાં વર્ષ 2021-22ના અરસામાં કુલ 15.07 લાખ ટ્રાન્ઝેક્શન ફેલ થયાં
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોને દર ચાર મહિને બે હજાર ચૂકવાય છે, ગુજરાતમાં વર્ષ 2021-22માં 30મી નવેમ્બર સુધીમાં 1,02,003 ખેડૂતો બે હજારની સહાયથી વંચિત રહ્યા છે, ટેક્નિકલ ખામી, ઈન્ટરનેટના ધાંધિયા, અમાન્ય આઈએફએસસી, નિષ્ક્રિય બેંક એકાઉન્ટ સહિતના વિવિધ કારણસર ખેડૂતોને સહાયથી વંચિત રહેવાનો વારો આવ્યો છે, તેમ કેન્દ્રના કૃષિ મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટમાં કહેવાયું છે. ફરીથી ટ્રાન્ઝેક્શન બાદ છેલ્લી સ્થિતિએ ગુજરાતના ખેડૂતોના 20 કરોડ જેટલા નાણાં સલવાયા છે.
સરકારી રિપોર્ટ પ્રમાણે છેલ્લા પોણા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 2.36 લાખ ખેડૂતોના ટ્રાન્ઝેક્શન ફેઈલ થયા હતા, હવે છેલ્લી સ્થિતિ પ્રમાણે એક લાખ જેટલા ખેડૂતો પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ સહાય માટે રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2019-20માં 61,385 ટ્રાન્ઝેક્શન ફેલ થયા હતા એટલે કે ખેડૂતોના બેંક ખાતામાં કોઈને કોઈ કારણસર બે હજારની રકમ જમા થઈ શકી નહોતી, એ જ રીતે વર્ષ 2020-21માં 73,034 ટ્રાન્ઝેક્શન ફેલ થયા હતા જ્યારે વર્ષ 2021-22માં અત્યાર સુધીમાં એક લાખથી વધુ ખેડૂતોનાં ખાતામાં નાણાં જમા થઈ શક્યા નથી. દેશભરમાં વર્ષ 2021-22ના અરસામાં કુલ 15.07 લાખ ટ્રાન્ઝેક્શન ફેલ થયા છે. વર્ષ 2021-22માં ફેલ ટ્રાન્ઝેક્શન
ઉત્તર પ્રદેશ 2.82 લાખ
મહારાષ્ટ્ર 1.62 લાખ
કર્ણાટક 1.42 લાખ
આંધ્રપ્રદેશ 1.08 લાખ
ગુજરાત 1.02 લાખ
રાજસ્થાન 1.02 લાખ
મધ્યપ્રદેશ 96 હજાર
ઓડિસા 95 હજાર
બિહાર 51 હજાર
તેલંગાણા 51 હજાર