જમ્મુ-કાશ્મીરમાં ભારત સરકારે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવ્યા બાદ મોટી સંખ્યામાં આતંકવાદીઓનો સફાયો થઇ જતાં પાકિસ્તાન અને તેના દ્વારા પ્રાયોજિત આતંકી આકાઓએ કાશ્મીરમાં હવે કાયરતાપૂર્ણ રીતે બિનકાશ્મીરીઓ અને બિનમુસ્લિમોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આતંકવાદીઓએ સતત બીજા દિવસે રવિવારે સાંજે કાશ્મીરના કુલગામ જિલ્લાના વનપોહ વિસ્તારમાં બિહારના 3 શ્રમિકોને ગોળી મારી દેતાં બેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ઘાયલ ચુનચુન રિષી દેવને અનંતનાગની મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરાયો હતો. 
ભારતની ઝીરો ટોલરન્સ નીતિથી ફફડેલા આતંકવાદીઓનો કેન્દ્રને ખુલ્લો પડકાર
એક ઘાયલ બિહારીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો
પરપ્રાંતીય નાગરિકોને સૈન્ય અને પોલીસ છાવણીમાં આશ્રયનો આદેશ
મૃતક બિહારી શ્રમિકોની ઓળખ રાજા રિશિ દેવ અને જોગિન્દર રિષી દેવ તરીકે કરાઇ હતી. આ પહેલાં શનિવારે આતંકવાદીઓએ શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં બિહારના અરવિંદ નામના પાણીપુરી વેચતા ફેરિયાની ગોળી મારી હત્યા કરી નાખી હતી. પુલવામામાં પણ આતંકવાદીઓના હુમલામાં સાગીર અહમદનું મોત થયું હતું. અરવિંદ બિહારના બાંકાનો વતની હતો અને શ્રીનગરમાં પાણીપુરી વેચીને ગુજરાન ચલાવતો હતો. સાગીર અહમદ યુપીના સહારનપુરનો વતની હતો અને સુથારી કામ કરતો હતો.
આ પહેલાં પણ પાંચમી ઓક્ટોબરે આતંકવાદીઓએ બિહારના એક ફેરિયાની હત્યા કરી હતી.
ગયા સપ્તાહમાં આતંકવાદીઓએ શ્રીનગરની સરકારી શાળામાં ઘૂસીને એક શિખ આચાર્યા અને એક હિંદુ શિક્ષકની હત્યા કરી હતી. તેના પહેલા શ્રીનગરના જાણીતા ફાર્માસિસ્ટ કાશ્મીરી પંડિત માખનલાલ બિન્દરુની હત્યા કરી હતી. સપ્ટેમ્બરમાં કુલગામમાં આતંકવાદીઓએ બિહારના એક શ્રમિકની હત્યા કરી હતી. ઓક્ટોબરમાં આતંકવાદીઓએ 11 નાગરિકોની હત્યા કરી હતી જેમાંથી 7 બિનમુસ્લિમ હતા.
2021માં આતંકવાદીઓએ કાશ્મીરમાં 30 નાગરિકોની હત્યા કરી છે. બિનકાશ્મીરી અને બિનમુસ્લિમ નાગરિકોની વીણી વીણીને કરાતી હત્યાના પગલે સમગ્ર કાશ્મીર ખીણમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. તેના કારણે ટ્રાન્ઝિટ કેમ્પોમાંથી મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિત પરિવારોએ ઉચાળા ભરવાનું શરૂ કરી દીધું છે. કાશ્મીરમાં નાગરિકોની હત્યાના પગલે સુરક્ષા દળોએ શરૂ કરેલા વ્યાપક અભિયાનમાં અલગતાવાદીઓ સાથે સંબંધો ધરાવતા 900 કરતાં વધુ લોકોની ધરપકડ કરી છે.
સુરક્ષા દળો દ્વારા અત્યાર સુધીમાં 9 એન્કાઉન્ટરમાં 13 આતંકવાદીઓને ઠાર મરાયાં છે. છેલ્લા 24 કલાકમાં શ્રીનગરમાં પાંચમાંથી 3 આતંકવાદીઓને ઠાર મરાયાં હતાં. જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓએ બે દિવસમાં ચાર પરપ્રાંતીયની હત્યા કરી દેતાં રાજ્ય વહીવટીતંત્રે એક કડક નિર્ણય લીધો છે. પોલીસે એડવાઇઝરી જારી કરીને તમામ પરપ્રાંતીય કે કાશ્મીર બહારના લોકોને સૈન્ય અને પોલીસ છાવણીમાં લાવવા કહ્યું છે.
ભારત-પાક. વચ્ચેની મેચ રદ કરવા ભાજપની માંગ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે સંબંધો ઉપર વિચાર કરવો જોઈએ. પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો વિશ્વની સામે આવી ગયો છે તેનું પરિણામ પણ તેણે ભોગવવું પડશે. કેન્દ્રીય મંત્રી ઉપરાંત પંજાબના એક કેબિનેટ મંત્રી પરગટ સિંહે પણ બન્ને દેશ વચ્ચેની મેચ રદ કરવાની માંગ કરી છે.