એપોલો હોસ્પિટલ, વીમા કંપની વળતર ચૂકવે: ગ્રાહક કમિશન
સર્જરી બાદ નિવૃત્ત અધિકારીને તીવ્ર ચેપની અસરથી સમસ્યા વકરી હતી
પાંચ લાખ સાત ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ
ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ કમિશને એક દર્દીના મૃત્યુના કિસ્સામાં એપોલો હોસ્પિટલ ઈન્ટરનેશનલ લિમિટેડ અને વીમા કંપની રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સને પાંચ લાખ રૂપિયા વળતર ચુકવવા આદેશ કર્યો છે, ઓક્ટોબર 2013માં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ પીસી સુકુમારનને ભાટ ખાતેની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બાયપાસ સર્જરી બાદ દર્દીને સમસ્યા વધી ગઈ હતી, એ પછી ગંભીર ચેપ લાગતાં દર્દીનું મોત થયું હતું. આ કિસ્સામાં મૃતકના પરિવારે એપોલો હોસ્પિટલ સામે બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો હતો.
ઓક્ટોબર 2013ના અરસામાં દર્દીની તબીયત ખરાબ થતાં એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, કોરોનરી આર્ટરી બાદ એટલે કે સર્જરી કરાવ્યા પછી દર્દીની તબીયત વધુ ખરાબ થઈ હતી, જેના કારણે મોત થયું હતું. મૃતકના બે સંતાનો અને પત્નીએ એપોલો હોસ્પિટલ અને વીમા કંપની સામે વળતરનો દાવો માંડયો હતો, જેમાં વળતરની માગ સાથે હોસ્પિટલ તંત્રની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કર્યો હતો.
અરજદાર તરફ્થી રજૂઆત કરાઈ હતી કે, હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે મોત થયું છે, હોસ્પિટલની સેવામાં ખામી હતી, હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળી નહોતી, સમયસર નિદાન થયું ન હતું. આ પરિવારે કુલ 23 લાખના વળતરનો દાવો માંડયો હતો. બીજી તરફ ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ કમિશન સમક્ષ હોસ્પિટલ તંત્રે અરજદારના આક્ષેપોને ફગાવતાં દલીલ કરી હતી કે, અમે દર્દીને યોગ્ય સારવાર આપી હતી, તમામ દલીલોને અંતે ગ્રાહક કમિશને એવું તારણ આપ્યું હતું કે હોસ્પિટલના સ્ટાફ્ની ફરજોમાં ઉણપ હતી, જેના કારણે દર્દીનું મોત થયું હતું.
ગ્રાહક કમિશનને 30 દિવસમાં પાંચ લાખ વળતર સાત ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો, આ સાથે જ ફરિયાદ ખર્ચ પેટે 10 હજાર ચૂકવવા આદેશ કર્યો હતો. એપોલો હોસ્પિટલ અને વીમા કંપનીએ આ રકમ મૃતકના પરિવારને આપવાની રહેશે.
